ગુજરાત કૉંગ્રેસ પ્રભારીની જવાબદારી ડો. રઘુ શર્માને સોંપ્યા બાદ પણ પાર્ટીમાં રાજીનામાનો દોર થમવાનું નામ નથી લઈ રહ્યો. હાર્દિક પટેલ જેવા કદાવર નેતા પણ પાર્ટીને અલવિદા કરી ચૂક્યા છે. ત્યારે આજે ડો. રઘુ શર્માએ આપેલા એક નિવેદનના કારણે પાર્ટીના ધારાસભ્યોની નારાજગીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. રઘુ શર્માએ પોતાના પક્ષના ધારાસભ્યોની કચરા સાથે સરખામણી કરી હતી.
સૌરાષ્ટ્રની 54 બેઠકો માટે સોમનાથમાં કૉંગ્રેસ મંથન કરશે
સૌરાષ્ટ્રની 54 વિધાનસભા બેઠકોની સમીક્ષા માટે કૉંગ્રેસ આવતીકાલે મંથન કરવાની છે. શુક્રવારે યોજાનારી બેઠકમાં હાજરી આપવા માટે કૉંગ્રેસ પ્રદેશ પ્રભારી ડો. રઘુ શર્મા સહિત કૉંગ્રેસના નેતાઓ સોમનાથ પહોંચ્યા છે. આવતીકાલના કાર્યક્રમ પૂર્વે આજે રઘુ શર્માએ યોજેલી પત્રકાર પરિષદમાં પોતાના ધારાસભ્યોની કચરા સાથે સરખામણી કરી નાખી હતી.
કોણ કોણ પક્ષ છોડવાનું છે તેની મને ખબર છે- ડો. રઘુ શર્મા
સોમનાથમાં પત્રકાર પરિષદ સંબોધતા પ્રદેશ કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં કોણ કોણ પક્ષ છોડવાનું છે તેની મને ખબર છે. જે લોકો જીતી શકે તેમ નથી તેઓ પક્ષ છોડવાના છે. તો તે કચરાને લઈ બીજેપી શું કરશે?
મારા પાસે 182 બેઠકનો રિપોર્ટ છે- ડો. રઘુ શર્મા
પ્રદેશ પ્રભારીએ કહ્યું હતું કે, મારી પાસે તમામ 182 વિધાનસભા બેઠકનો રિપોર્ટ છે. કોણ જીતે છે અને કોણ હારે છે તેની વિગતો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.