જૂનાગઢ મહાનગરમાં 15મી ઓગષ્ટ સ્વાતંત્ર પર્વની રાજયકક્ષાના ઉજવણી થનાર છે. જેથી જૂનાગઢ શહેરમાં કાર્યરત તમામ સરકારી કચેરીઓની ઇમારતો તથા ઐતિહાસીક ઇમારતોને રંગબેરંગી આકર્ષક રોશનીથી શણગારવામાં આવતા રાત્રી દરમ્યાન જૂનાગઢવાસીઓ રોશની સુશોસ્ભત નજારો જોવા માટે મહાનગરના રસ્તા પર ઉમટી પડ્યા હતાં.
75 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઇને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને રાજયપાલ દેવવ્રત આચાર્ય આજે સાંજે જૂનાગઢ પહોંચનાર છે. સાંજે 6:30 વાગે કૃષિ યુનીવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમ અને એટહોમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન થનાર છે. ત્યારે મહાનગરમાં સ્વાંતત્ર પર્વની રાજયકક્ષાની ઉજવણી અંર્તગત થનાર કાર્યક્રમો અને તૈયારીઓને લઈને જૂનાગઢવાસીઓમાં અનોખો ઉમંગ જોવા મળી રહ્યો છે.
રાજયકક્ષાની રાષ્ટ્રીય પર્વની ઉજવણીના પગલે જૂનાગઢ મહાનગરમાં કાર્યરત તમામ વિભાગોની સરકારી કચેરીઓ, મુખ્ય વિસ્તારો, સાર્વજનિક સ્થળો તથા મકરબા, સરદાર ગેઇટ, મજવેડી ગેઇટ જેવા હેરિટેજ સ્થળો અને ઐતિહાસિક બિલ્ડીંગો, કલેક્ટર ઓફિસ, તાલુકા સેવા સદન, જિલ્લા પંચાયત ભવન, એસ.પી. કચેરી, શામળદાસ ગાંધી ટાઉન હોલ, સર્કિટ હાઉસ તથા દરેક પોલીસ સ્ટેશનો, મકબરાને આકર્ષક રોશનીથી શણગારી સુશોભિત કરવામાં આવ્યા છે.
રાત્રી દરમ્યાન જૂનાગઢવાસીઓ ઘરની બહાર નિકળી રોશનીથી ઝગમગતા મુખ્ય વિસ્તારો, બિલ્ડીંગોનો નજારો જોવા રસ્તા પર ઉમટી પડયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આમ, જૂનાગઢમાં સ્વાતંત્ર પર્વની રાજયકક્ષાની ઉજવણીના પગલે દિવાળી જેવો માહોલ નજરે પડી રહ્યો છે. જેનો શહેરીજનો લ્હાવો લઇ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.