જૂનાગઢમાં જ્યારે જ્યારે સીએમ કે પીએમ જેવા મોટા નેતાના કાર્યક્રમ થાય છે ત્યારે રોજેરોજનું કમાઇ ખાનારની રોજગારી છિનવાઇ છે. અગાઉ પણ આવું અનેક વખત બન્યું છે અને હવે ફરી વાર બનવા જઇ રહ્યું છે. જૂનાગઢના મોતીબાગથી લઇને કૃષિ યુનિવર્સિટીના ગેઇટ સુધીની ફૂટપાથ પર અનેક વેપારીઓ પોતાની નાસ્તાની રેંકડી લઇ ઉભે છે અને વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન 15 ઓગસ્ટે જૂનાગઢમાં રાજ્યકક્ષાના સ્વાતંત્રય પર્વની ઉજવણી થવાની છે.
આ ઉજવણી અંતર્ગત કૃષિ યુનિવર્સિટીમાં પણ 14 ઓગસ્ટે કાર્યક્રમ થનાર છે. ત્યારે આ કાર્યક્રમને લઇ ફૂટપાથ પરથી નાસ્તાની લારી વાળાને હટાવી દેવાયા છે. આ ફૂટપાથ પર વાંસ લગાવી રોશની કરવામાં આવી રહી છે તેમજ મોટા બેનર, હોર્ડિંગ્સ પણ લગાવાઇ રહ્યા છે. જોકે, 12 ઓગસ્ટથી જ ફૂટપાથ ખાલી કરાવી હોય આ ફૂટપાથ પર રેંકડી રાખી રોજે રોજનું કમાઇ ખાનારની 4 દિવસની રોજગારી છિનવાઇ ગઇ છે. કોરોનાના કારણે લાંબા સમય સુધી ધંધા બંધ રહ્યા બાદ માંડ ગાડી પાટે ચડી હતી ત્યાં ફરી ધંધા બંધ કરાવતા વેપારીઓમાં રોષ વ્યાપ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.