જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, બુધવારે વ્હેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાઇ ગયું હતું. બપોરના 1 થી 3 સિવાય સમગ્ર દિવસમાં મોટાભાગે વાદળો છવાયેલા રહેતા સૂર્યનારાયણ ભગવાનના દર્શન દુલર્ભ થઇ ગયા હતા. મંગળવારે મહત્તમ તાપમાન 38 ડિગ્રી હતું જે બુધવારે વાદળછાયા વાતાવરણના કારણે એક જ દિવસમાં 3.9 ડિગ્રી ઘટીને 34.1 ડિગ્રી થઇ ગયું હતું. પરિણામે શહેરીજનોને આકરી ગરમીથી છૂટકારો મળ્યો હતો. હજુ 3 થી 4દિવસ સુધી મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે જેથી ગરમીમાં રાહત રહેશે.
ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ભારે પલ્ટો આવ્યો હોય વાદળછાયું વાતાવરણ રહેશે. બુધવારે બપોરના ક્યાંક ક્યાંક સામાન્ય છાંટા પડ્યા હતા જૂનાગઢમાં માવઠું- કમોસમી વરસાદ થવાની શક્યતા નહિવત છે. ઉપરાંત આ વાતાવરણથી કોઇ પાકને પણ નુકસાન થવાની ભિતી નથી. માવઠું થાય તો નુકસાન થાય પરંતુ તેની સંભાવના નથી. દરમિયાન કૃષિના ઉમેશભાઇ પરમારે જણાવ્યું હતું કે, બુધવારે લઘુત્તમ 24.8 અને મહત્તમ 34.1 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 30 ટકા અને બપોર બાદ 21 ટકા રહ્યું હતું સાથે પવનની ઝડપ 3.8 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.