જૂનાગઢ શહેરમાં સાઇકલના વેંચાણના 25 ટકા જેવો વધારો નોંધાયો છે. આ અંગે શહેરમાં છેલ્લા 3 દાયકાથી સાઇકલનું વેંચાણ કરતા ગેલેક્સી સાઇકલ વાળા રાજુભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી બાદ સાઇકલના વેંચાણમાં વધારો થતો રહ્યો છે. હાલ 25 ટકા જેવો વેંચાણમાં વધારો થયો છે.
સાઇકલના વેંચાણમાં થતા વધારા માટે 3 કારણો ગણી શકાય. એક તો કોરોનાના કારણે આર્થિક સ્થિતી ડાઉન થતા લોકો સાઇકલ ફેરવતા થયા છે. બીજું અનેક લોકો આરોગ્યની દ્રષ્ટિને ધ્યાને રાખી સાઇકલ ચલાવી રહ્યા છે. જ્યારે હાલમાં પેટ્રોલના ભાવમાં થયેલા તોતીંગ વધારાના કારણે પણ અનેક લોકોની પસંદ સાઇકલ બની છે. જૂનાગઢમાં 5,000થી લઇને 50,000 સુધીની સાઇકલનું વેંચાણ થાય છે.
પહેલા ચાઇનાથી સાઇકલ આવતી. હવે ચાઇનાથી આવક બંધ થતા અને રોમટિરિયલના ભાવમાં વધારો થતા સાઇકલના ભાવમાં 800થી લઇને 5,000 સુધીનો વધારો થયો છે. દરમિયાન અન્ય મહાનગરોમાં તો સાઇકલના વેંચાણમાં 50 ટકા જેવો વધારો થયો છે જેની સામે જૂનાગઢમાં માત્ર 25 ટકાનો જ વધારો થયો છે. જોકે, હવેની સ્થિતી જોતા વેંચાણ વધશે તેમ લાગી રહ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.