માંગરોળ બંદરમાં રહેતા મુળજીભાઈ માવજીભાઈ ખોરાવાની મત્સ્યગંધા નામની ફિશીંગ બોટમાં નવસારીના ધારાગીરી ગામના રહેવાસી રમેશભાઈ ધીરુભાઈ નાયકા ગત 25-10-2021નાં રોજ અન્ય 7 ખલાસીઓ સાથે ઓખા દરિયામા માછીમારી કરવા ગયા હતા. દરમ્યાન રમેશભાઈ અકસ્માતે દરિયામાં પડી ગયા બાદ ડુબી જતા ગુમ થયેલ હતા. ત્યારબાદ તેઓનો મૃતદેહ આજ સુધી મળી આવ્યો નથી. બોટ માલીકે ખલાસીનો અકસ્માત વિમો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્યુ કંપનીમા ઉતરાવેલ હતો.
જે સંદર્ભે વિમા કંપની દ્વારા ખલાસીના મૃત્યુ વળતર પેટેની પોલીસી મંજુર કરતા આજરોજ માંગરોળ ખાતે પોરબંદરથી વિમા કંપનીના પ્રતિનિધિ, બોટ માલીક અને મૃતક ખલાસીના સસરાની ઉપસ્થિતિમાં રૂા. 7,68, 560ની વીમાના રકમના ચેક ખલાસીના બે સગીર વયના બાળકોને અપાયો હતો. ઉલ્લેખનીય છે કે નિયમો અનુસાર, કોઈ વ્યક્તિના ગુમ થવાની અથવા મોતની ઘટનામાં, જો તેનો મૃતદેહ મળી ન આવે તો સાત વર્ષના અંતરે મૃતકના પરિવારને વીમો આપી શકાય છે.
પરંતુ આ કેસમાં ગુમ થયેલ ખલાસી રમેશભાઈના પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાને લેતા ખલાસીના માતા, પિતા અને પત્ની અગાઉ મૃત્યુ પામેલ છે તેમજ હાલ તેમના 12 અને 15 વર્ષના બે બાળકો છે. તે પણ હાલ તેમના નાનાની સાથે રહે છે. ત્યારે માનવતાના આધારે, વીમા કંપનીએ ખલાસી રમેશભાઈ નાયકાની મૃત્યુ વળતર પેટેની વીમાની રકમ મંજુર કરી મૃતક ખલાસીના નાના બાળકોને આપવાનો નિર્ણય કર્યો હતો. } તસવીર - વિવેક મહેર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.