કેશોદના શેરગઢ ગામે કૃષ્ણનગર વાડી વિસ્તારમાં શુક્રવારની રાત્રીના અચાનક સાવજે બળદ ઉપર હુમલો કરતાં મોત નિપજયું હતું વાડી માલીકે વન વિભાગને જાણ કરતાં રાઉન્ડ ફોરેસ્ટર ભરડા સહિતના કર્મચારીઓ તાત્કાલીક દોડી આવી પંચનામું સહિત સાવજના પગલાં આધારે લોકેશન મેળવવા તપાસ હાથ ધરી હતી.
જયારે પશુ ચિક્ત્સિક ચાવડાએ બળદને સારવાર આપી બચાવવા પ્રયત્ન કર્યા હતાં પરંતુ બચાવી શકાયો ન હતો. નજીકમાં જ જંગલ વિસ્તાર આવેલ હોય હિંસક પ્રાણીઓ ખોરાકની શોધમાં વારંવાર ચડી આવતાં હોવાની ઘટના બનવા પામતાં ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ અંગે જેમના બળદનું સાવજે મારણ કર્યું તે કૃષ્ણનગરમાં ફુલાભાઈ હીરાભાઈ ડોબરિયાના પુત્રએ જણાવ્યું કે કૃષ્ણનગરમાં એક વર્ષમાં હિંસક પ્રાણીઓના હુમલાની આ ત્રીજી ઘટના છે.
જેથી અમારા પશુઓ બચાવવા ફેસીંગ કરી હતી જેમાં ઇલેકટ્રીક ઝટકો પણ લગાવવામાં આવ્યો હતો. પરંતુ નસીબ જોગે ઝટકામાં પાવર સપ્લાય ન હોય સાવજ હુમલો કરવામાં સફળ રહ્યો હતો. વારંવાર આવી બનતી ઘટનાથી પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
નંબર જાહેર કરવા ઉઠી માંગ
નેચર નીડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટ અજાબઅભયભાઈ વ્યાસે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરવામાં આવે અને વન વિભાગનો સિધો જ સંપર્ક થાય તે માટે એક ટેલીફોન નંબર જાહેર કરવામાં આવે જેથી સમય ન બગડે તેવી ખેડુતોની માંગ હોવાનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.