કેશોદ બસ સ્ટેશન સામે શનિવારના બપોરે વિદ્યાર્થીઓમાં નજીવી બાબતે મારામારી થઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઝઘડો કરનાર વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ હાથ ધરી હતી. આ મારામારીની ઘટના સામાન્ય બાબતે થઈ હોય વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે તે માટે પોલીસે વિદ્યાર્થીના વાલીઓને બોલાવી હવે પછી આવી ઘટના ન બને તે માટે વિદ્યાર્થીઓ પાસે માફી મંગાવી હતી.
ખાસ વાત એ છે કે પકડાયેલાં વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીએ માર ખાધો હોય તમામે પીખોરના સિદ્ધરાજ દ્વારા માર મારવામાં આવ્યો હોય તેમ જણાવ્યું હતું. જેથી પોલીસે વિદ્યાર્થીઓના કહેવા મુજબ 24 કલાક બસ સ્ટેશનમાં પડ્યો પાથર્યા રહેતાં સિદ્ધરાજ ને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી બસ સ્ટેશનમાં રોમિયોગીરી વધી છે અને વારંવાર છાત્રાઓની છેડતીની અને વિદ્યાર્થી વચ્ચે મારામારીની ઘટના બને છે. આ બનાવો ને ધ્યાને લઈ પોલીસ દ્વારા પણ બસ સ્ટેશન નજીક સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના બાળકોની ચિંતા સતાવતી હોય તેમ રોમિયોગીરી કરનારા આવારા તત્વોને ઝડપી પાડી તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.