કેશોદનાં મંગલપુર ગામે આખા જતા માર્ગ પર બુધવારે રાત્રીનાં સમયે સિંહણ જોવા મળી હતી. આ ઉપરાંત ત્રણ દિવસ પહેલાં આખા ગામે સાવજોએ એક ઘોડીનું પણ મારણ કર્યું હતું. બાદમાં સાવજો નરેડી ગામ તરફ હોવાનું પણ જાણવા મળ્યું હતું. તેમજ ગુરૂવારે બપોરનાં અરસામાં કણજા ગામે વાડી વિસ્તારમાં સાવજો જોવા મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વનવિભાગનાં એક કર્મચારીએ કહ્યું હતું કે, બે સાવજ અને એક સિંહણનું ગ્રુપ છે. જેમાંથી આ સિંહણ વિખુંટી પડી ગઈ હોય શકે છે.
માણેકવાડાની સીમમાં તરસ છીપાવી’તી - ચાર દિવસ પહેલાં માણેકવાડા અને સેંદરડાની સીમની બોર્ડર વચ્ચેની એક વાડીમાં રાત્રીનાં 9:30 કલાકે બે સાવજોએ પાણીની કુંડામાં તરસ છીપાવી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ખુંભડીની સીમમાં પાંચ દિવસ પહેલા એક ભેંસનું મારણ કર્યું હતું. તેમજ માણેકવાડા ધાર વિસ્તારમાં એકાંતરા 4 શ્વાનનો સાવજે કે દિપડાએ શિકાર કર્યો હતો.
હવે તો દિવસ પાળી વીજ પૂરવઠો આપો - ખેડૂતોએ કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી વન્યપ્રાણીઓએ વાડી વિસ્તારમાં ધામા નાંખ્યા છે. હાલ રવિપાકની સિઝન ચાલી રહી છે. ત્યારે જ પાકને પાણી પિવડાવવું પડે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાત્રી પાળી વિજપુરવઠો અપાઈ છે. જે રોજ દિવસ પાળી જ આપવો જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.