રાજ્યભરમાં ગેરકાયદે નાણાં ધીરધાર કરતા વ્યાજખોરો ઉપર અંકુશ લાવવા પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે .જેના અનુસંધાને જામનગર જિલ્લા પોલીસવડા દ્વારા આજરોજ જિલ્લામાં 11 સ્થળોએ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વ્યાજખોરીનો ભોગ બનેલા લોકોએ પોલીસ સમક્ષ આવી પોતાની આપવીતી જણાવી હતી.
ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ અન્વયે લોકોમાં જાગૃતિ કેળવાય અને લોકોની ફરિયાદ સાંભળી વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે હેતુ અને પ્રજા આવા લોકોની ચૂંગલમાં ના ફસાય તે માટે વિસ્તૃત જાણકારી મળે તે હેતુ થી આજ રોજ જામનગર જિલ્લામાં સીટી એ, બી અને સી ડિવિઝન ઉપરાંત જોડિયા,જામજોધપુર, મેઘપર સિક્કા, બેડી મરીન સહીત પોલીસ સ્ટેશનો માં લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયેલા નાગરિકોએ પોતાની લેખિત ફરિયાદ આપવા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા અનુરોધ કરાયો હતો..એસ.પી. ડેલુ સિટી એ પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતાં ત્યારે આજના પોલીસ લોકદરબારમાં વિશાળ સંખ્યામાં રાક્ષસી વ્યાજ વસુલનારાઓ સામે વિશાળ સંખ્યામાં લોકો પોલીસ સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની આપવીતી જણાવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં ચાલી રહેલી ઝુંબેશને કારણે જામનગર શહેરમાં ગૃહ ઉદ્યોગની જેમ ચાલતા ઉંચા વ્યાજે નાણાં ધીરધાર કરનાર તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. વ્યાજખોરો સામે પોલીસને અરજીઓ મળ્યા બાદ હવે પોલીસ આ મામલે કાર્યવાહી કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.