જામનગરમાં રાજકીય પક્ષોમાં આંતરિક વિખવાદ ફોર્મ ભરવામાં દેખાયો હતો. કારણ કે, પાંચેય બેઠક પર અંતિમ દિવસે નામાંકન પત્ર ભરવા ઉમેદવારોનો રાફડો ફાટયો હતો. ફોર્મ ભરવા ધસારો થતા કચેરીઓ મોડી રાત સુધી ચાલુ રહી હતી. વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોને ટીકીટોની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ દ્વારા જૂના જોગીઓને કાપી નવા ચહેરા, અમુક ટીકીટ પર ઉમેદવાર રીપીટ કરવામાં આવતા બંને પક્ષોમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
આથી બંને પક્ષ દ્વારા ડેમેજ કન્ટ્રોલની કવાયત હાથ ધરવામાં આવી છે. જામનગરની પાંચ અને દેવભૂમિ દ્રારકા જિલ્લાની બે બેઠક પર રાજકીય પક્ષોમાં ટીકીટ ફાળવણીમાં કાપ સહિતના મુદે શરૂ થયેલો આંતરિક વિખવાદ ફોર્મ ભરવામાં દેખાતા અંતિમ દિવસે ઉમેદવારોનો રાફડો ફાટયો હતો. આથી મોડી રાત સુધી કચેરીમાં ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતાં. સોમવારે મોડી સાંજ સુધીમાં 76-કાલાવડ બેઠક પર 16 અને 80-જામજોઘપુર બેઠક પર 24 ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. જયારે અન્ય બેઠક પર ફોર્મ ઉમેદવારોને ટોકન આપ્યા હોય સ્વીકારવાની પ્રક્રિયા મોડે સુધી ચાલુ રહી હતી. મોટા ભાગની બેઠક પર અપક્ષ ઉમેદવારોએ પણ ઝંપલાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.