જામનગરના રણજીતસાગર ડેમમાંથી એક મૃતદેહ પાણીમાં તરતો હોવાની માહિતી દડીયા ગામના એક વ્યક્તિને મળતાં તેમણે તુરત જ પંચકોશી-બી ડિવિઝન પોલીસનો સંપર્ક સાધ્યો હતો. જેથી પોલીસ ટુકડીએ ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહને પાણીમાંથી બહાર કઢાવ્યો હતો, અને પોસ્ટમોર્ટમ માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
પોલીસની પુછપરછ અને તપાસ દરમિયાન મૃતક યુવાનની ઓળખ થઈ ગઈ છે. મૃતક નું નામ મિલન વિજયભાઈ આલિખા (ઉંમર વર્ષ 19) અને તે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું તેમજ જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રાજ ચેમ્બર્સ સોસાયટીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.
આ બનાવની જાણ થવાથી મૃતકના પિતા વિજયભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને તેમણે પોતાના પુત્રના મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. આજથી ચાર દિવસ પહેલાં મૃતક યુવાન પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગયો હતો, અને પિતા દ્વારા સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ગુમ નોંધ પણ કરાવી હતી. દરમિયાન આજે તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો. જેનું આપઘાતનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.