જામનગરના એક યુવાને આર્થિક સંકડામણને કારણે પોતાના ઘેર ગળાફાંસાે ખાઇ આત્મહત્યા કરી લઇ જીવાદોરી ટુંકાવી લીધી છે. ફાઇનાન્સ કંપની માંથી મેળવેલી હોમ લોનના પૈસા ભરી નહીં શકતાં આર્થિક ભીંસના કારણે આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં કાલાવડ નાકા બહાર શાંતોજા સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા નિલેશ દામજીભાઈ કછેટીયા નામના 35 વર્ષના યુવાને સોમવારે પોતાના ઘેર પંખાના હુકમાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા હત્યા કરી લીધી છે.
આ બનાવ અંગે મૃતકના સંબંધી અશ્વિનભાઈ લક્ષ્મણભાઈ પરમાર એ પોલીસને જાણ કરતાં સીટી-એ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાને ખાનગી ફાઇનાન્સ કંપની માંથી હોમ લોન મેળવી હતી. પરંતુ હાલ તેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે હપ્તા વગેરે ભરી નહીં શકતાં આર્થિક સંકડામણમાં ફસાયો હતો. અને જેનાથી કંટાળી જઇ આ પગલું ભરી લીધાનું જાહેર કરાયું છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. આ બનાવને લઇને મૃતકના પરિવાર માં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.