જામનગર જિલ્લાના ચંદ્વાગા ગામમાં લોકોને આવાગમન કરવામાં મુશ્કેલી ન પડે અને ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અડધા કરોડના ખર્ચે સીસી રોડ અને પેવર બ્લોક, ભૂગર્ભ ગટરના કામ કરવામાં આવ્યા છે તેમ ગામના સરપંચ મનહરબા કાળુભા જેઠવાએ જણાવ્યું હતું. વધુમાં તેણીએ જણાવ્યું હતું કે ગામના દરેક લોકોને પરમીટ દીઠ કચરા પેટી પણ આપવામાં આવી છે. ગામના લોકોને શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી 50 હજાર લીટરની ક્ષમતાવાળો પાણીનો સમ્પ પણ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત ગામની શાળાની ફરતે બાઉન્ડ્રી દિવાલ બનાવવામાં આવી છે અને ધારાસભ્ય પાસેથી ચંદ્વાગાથી વાણીયાગામ અને ચંદ્વાગાથી કરાણા વચ્ચે રૂ. પાંચ કરોડના ખર્ચે ડામર રોડ મંજુર કરાવવામાં આવ્યો છે.
નવી પંચાયત કચેરી બનશે
ગામમાં રૂ.14 લાખના ખર્ચ ગ્રામ પંચાયત બનાવવાની મંજૂરી મળી છે. પરંતુ તેનો ખર્ચ રૂ.17 લાખ સુધીનો આવે તેમ છે. આથી વધુ રકમ માટે માંગણી કરવામાં આવી છે. નવી પંચાયત ઓફિસમાં રૂમ કિચન સહિત વ્યવસ્થા હશે. ઉપરાંત વાડી વિસ્તાર અને અન્ય સ્થળે કોઝ-વે બનાવવાની સાથે ડેમનું રીનોવેશનનું કામ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.