લોકોમાં જેનેરિક દવાઓ વિષે સમજ કેળવાય અને દવાઓ પર વિશ્વાસ બેસે તે હેતુ થી આ વર્ષે જન ઔષધિ દિવસની મુખ્ય થીમ સારી પણ–સસ્તી પણ તે મુજબ છે. તેમજ તા.1થી 7 માર્ચ સુધી જન ઔષધિ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યારે જામનગર શહેરના એમ. પી. શાહ મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં ભારત સરકારના રેલવે અને કાપડ મંત્રાલયના રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના અધ્યક્ષ સ્થાને 7 માર્ચના પાંચમા જન ઔષધિ દિવસની ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમમાં હાઈએસ્ટ દવાઓનું વિતરણ કરનારા જન ઔષધિ સેન્ટરના 3 સ્ટોર ધારકોને તેમજ લાભાર્થીઓને પુરસ્કાર એનાયત કરાયા હતા. મંત્રીએ જન ઔષધિ સ્ટોર સંચાલકો સાથે સંવાદ કરીને તેમની કામગીરીને બિરદાવી હતી તેમજ લાભાર્થીઓએ પણ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.
કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાએ આયુર્વેદ ક્ષેત્રે વિશ્વભરમાં ઓળખ ઊભી કરી છે, ડબલ્યુએચઓનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જામનગરમાં સ્થપાવા જઇ રહ્યું છે. જામનગરની મેડિકલ કોલેજમાં ગુજરાતનાં અનેક યુવાઓ અભ્યાસ અર્થે આવે છે.
સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, લોકો ભરોસાથી જેનરિક દવાઓનો ઉપયોગ કરતાં થયા છે. અને જન ઔષધિ કેન્દ્રો પરથી દવાઓ લે છે. આ સેન્ટરો પર આગામી સમયમાં પણ તમામ પ્રકારની દવાઓ લોકોને મળી રહે તે દિશામાં આરોગ્ય વિભાગ કામગીરી કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જામનગરમાં 10 જન ઔષધિ કેન્દ્રો આવેલા છે. જ્યાં અત્યાર સુધી અંદાજે 98 લાખ રૂપિયાની દવાઓનું વેચાણ થયું છે. જેનાથી 5 કરોડ રૂપિયાની બચત થઈ છે. જન ઔષધિ કેન્દ્રો પર 1779 પ્રકારની ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવાઓ તેમજ 280 પ્રકારના સર્જીકલ સાધનો ઉપલબ્ધ છે તેમજ 50% થી 90% સુધી સસ્તી દવાઓનું વેચાણ કરવામાં આવે છે.
કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારિયા, વિમલભાઈ કગથરા, કલેકટર ડૉ. સૌરભ પારઘી, કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ,સાશક પક્ષના નેતા કુસુમ પંડયા, કોર્પોરેટરઓ, એમ. પી. શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઇ,ડોકટરો, તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.