લોકોમાં જેનેરિક દવાઓ વિષે સમજ કેળવાય અને દવાઓ પર વિશ્વાસ બેસે તે હેતુ થી આ વર્ષે જન ઔષધિ દિવસની મુખ્ય થીમ “સારી પણ – સસ્તી પણ” તે મુજબ છે. તેમજ તા.1 થી તા.7 માર્ચ સુધી જન ઔષધિ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યારે જામનગર શહેરના એમ. પી. શાહ મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં ભારત સરકારના રેલવે અને કાપડ મંત્રાલયના રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના અધ્યક્ષ સ્થાને 7 માર્ચના રોજ પાંચમા જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હાઈએસ્ટ દવાઓનું વિતરણ કરનારા જન ઔષધિ સેન્ટરના 3 સ્ટોર ધારકોને તેમજ લાભાર્થીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. મંત્રીએ જન ઔષધિ સ્ટોર સંચાલકો સાથે સંવાદ કરીને તેમની કામગીરીને બિરદાવી હતી. તેમજ લાભાર્થીઓએ પણ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જન ઔષધિ દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે જામનગર જિલ્લાએ આયુર્વેદ ક્ષેત્રે વિશ્વભરમાં ઓળખ ઊભી કરી છે, ડબલ્યુએચઓનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જામનગરમાં સ્થપાવા જઇ રહ્યું છે. જામનગરની મેડિકલ કોલેજમાં ગુજરાતનાં અનેક યુવાઓ અભ્યાસ અર્થે આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી ભારતમાં જન ઔષધિ કેન્દ્રો કાર્યરત થયા છે. જ્યાં રાહતદરે દવાઓનું વેચાણ કરવામાં આવે છે. જેનાથી ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રાહત મળી છે.
સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે લોકો ભરોસાથી જેનરિક દવાઓનો ઉપયોગ કરતાં થયા છે. અને જન ઔષધિ કેન્દ્રો પરથી દવાઓ લે છે. જામનગરના આ કેન્દ્રોનો ચેક કેન્દ્ર સુધી પ્રચાર થઈ રહ્યો છે. આ કેન્દ્રો પર રાહતદરે દવાઓ આપવામાં આવે છે સાથે જ આ દવાઓ ગુણવતાયુક્ત છે. આ સેન્ટરો પર આગામી સમયમાં પણ તમામ પ્રકારની દવાઓ લોકોને મળી રહે તે દિશામાં આરોગ્ય વિભાગ કામગીરી કરી રહ્યું છે. મધ્યમ વર્ગના લોકો માટે આ કેન્દ્રો આશીર્વાદ સમાન છે.
ઉલ્લેખનીય છે કે જામનગરમાં 10 જન ઔષધિ કેન્દ્રો આવેલા છે. જ્યાં અત્યાર સુધી અંદાજે 98 લાખ રૂપિયાની દવાઓનું વેચાણ થયું છે. જેનાથી ૫ કરોડ રૂપિયાની બચત થઈ છે. જન ઔષધિ કેન્દ્રો પર 1779 પ્રકારની ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવાઓ તેમજ 280 પ્રકારના સર્જીકલ સાધનો ઉપલબ્ધ છે. તેમજ 50% થી 90% સુધી સસ્તી દવાઓનું વેચાણ કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.