વિધાનસભા ચૂંટણી બાદ નવાનિયુકત થયેલા ધારાસભ્યોની પ્રથમ બેઠકમાં જ હેમંત ખવા દ્વારા 39 જેટલા પ્રશ્નો પુછી દરેક વિભાગના અધિકારીઓસાથે વિસ્તારમાં ચર્ચા કરીને આ પ્રશ્નોના નિવારણ માટે સૂચનો રજૂ કર્યા હતાં.આ પ્રશ્નોમાં ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન ચાલુ કરવા, અપૂરતા ડોકટરોની નિમણૂંક માટે વગેરેમાં સૂચનો રજૂ કર્યા હતાં.
આ બેઠકમાં ખેડુતોને લગતા પ્રશ્નો જેમ કે, વીજળી અંગે લોડ શેડીંગમાં અગાઉ જાણ કરવી,નવા કનેકશન આપવા, બળી ગયલા ટ્રાન્સફોર્મર બદલવામાં કાળજી રાખવી વગેરે જેવા પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી. આ તકે જ્યારે જામજોધપુર તાલુકામાં લાંબા સમયથી આધાર કાર્ડ મશીન બંધ હોય તો તે ચાલુ કરવા રજૂઆતો કરી જે વિભાગ દ્વારા ખાત્રી અપાઇ કે આગામી એક માસમાં જામજોધપુર તાલુકા મથકે એક અને ગ્રામ્ય વિસ્તારમાં બે નવા આધાર કાર્ડ કીટ ફાળવણી કરવામાં આવશે. સૌથી વધુ લોકોને ફીંગર ન આવવા બાબતે ફરિયાદ હતી તે સંબંધે ચાર પ્રયત્નો કરવા છતાં ફીંગર ન આવે તો સક્ષમ અધિકારીને ઉચ્ચ કચેરીને લેટરથી જાણકારી આપી ફીંગર ન આવે તો પણ આધાર કાર્ડ મળે તેવી વ્યવસ્થા કરવા સૂચનો કર્યા હતાં.
જામજોધપુર-લાલપુર વિસ્તારમાં એસ.ટી.ને લગતા પ્રશ્નો, બંધ રૂટ ચાલુ કરવા એસ.ટી. વિભાગને ટકોર કરી હતી. આ ઉપરાંત જિલ્લામાં જમીન માપણીને લગતા પ્રશ્નો તેમજ ગોળ ગોળ મળતા જવાનો ના બદલે ધારાસભ્ય કલેકટર દ્વારા સાચો જવાબ આપવા તાકીદ કરવામાં આવી હતી. તાલુકા પંચાયતમાં છેલ્લાં પાંચ મહિનાથી એસ.એસો.ની જગ્યા ખાલી હોય તે અંગે ઉગ્ર રજૂઆત કરાઇ જ્યારે આવનારા 10દિવસમાં તેનું નિવારણ અંગે ખાત્રી અપાઈ હતી.
તેમજ જામજોધપુર-લાલપુરમાં ખરાબ રોડ રસ્તા બાબતે સત્વરે કામો શરૂ કરી કસુરવાર કોન્ટ્રાકટરો પર પગલાં લેવા રજૂઆત કરાઇ હતી. તાલુકામાં તલાટી કમ મંત્રીઓની જગ્યા ખાલી હોય ત્યારે ત્યાં નિમણૂંક આપવા બાબતે સૂચનો પણ કર્યા હતાં.
જામજોધપુર અને લાલપુર વિસ્તારના કયા ડેમમાં કેનાલની શું સુવિધા છે ચેકડેમ રિપેરીંગ બાબતની કામગીરી અંગે યોગ્ય જવાબ રજૂ કરવા સૂચનો આપ્યાં હતાં. જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં ઉભા કરાયેલા ટાવર, પોલ બાબતે વળતરની ગાઈડલાઈન અંગે ચર્ચા કરાઈ હતી.
બેઠકમાં ધારાસભ્યો હેમંત ખવા દ્વારા પ્રજાના પાયાના પ્રશ્નો તેમજ પ્રજાને સ્પર્શતા આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, વીજળી, એસ.ટી. રોડ અને બિલ્ડિંગ, જમીનની માપણી અને આધાર કાર્ડના વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરાઇ હતી અને તેના નિવારણ માટે યોગ્ય અને ત્વરિત નિર્ણયો લેવાય તેવી રજૂઆતો કરાઇ હતી. તેવું જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા જણાવવામાં આવ્યું હતું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.