જામનગરના બેડી વિસ્તારમાં 7ના બદલે 14 કલાકના વીજકાપથી લોકોમાં ભારે દેકારો બોલી ગયો હતો. કેબલ સળગી જતા વીજ પુરવઠો પૂર્વવત ન થયાનો વીજકંપનીએ બચાવ કર્યો હતો. અઘોષિત વીજકાપથી રોષે ભરાયેલા રહેવાસીઓએ વીજકચેરીએ ધસી જઇ ઉગ્ર રજૂઆતો કરી હતી.
જામનગરના વોર્ડ નં.1 માં આવેલા બેડી વિસ્તારના ફીડર હેઠળના વિસ્તારોમાં મેઇનટેનન્સની કામગીરીના કારણે વીજતંત્ર દ્વારા બપોર સુધી વીજકાપ ઝીંકવામાં આવ્યો હતો. પરંતુ વીજકાપના કલાકો પૂર્ણ થઈ ગઈ હોવા છતાં રાત્રે નવ વાગ્યા સુધી વીજ પુરવઠો પૂર્વવત કરવામાં ન આવતા ઉહાપોહ મચી ગયો હતો.
વીજકંપનીની પ્રિ-મોન્સુન કામગીરી
બપોરે બે વાગ્યે વીજળી આવી જવાની હતી પરંતુ સાત કલાકના બદલે સળંગ 14 કલાક સુધી વીજકાપ રહેતા આ વિસ્તારના લોકો ગરમીમાં ત્રાહિમામ પોકારી ગયા હતા. આટલું જ નહીં તીવ્ર ગરમીમાં વીજકાપથી આ વિસ્તારમાં વસવાટ કરતા બીમાર લોકોની હાલત કફોડી બની ગઈ હતી. લોકોએ વીજ કચેરીએ ધસી જઈ રજૂઆત કરી હતી.
અડધા શહેરમાં 7 કલાકનો વીજકાપ ઝીંકાતા લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા…
જામનગરમાં શનિવારે વીજકંપનીએ પ્રિ-મોન્સુન કામગીરી હેઠળ 90 જેટલા વિસ્તારો એટલે કે અડધા શહેરમાં વીજલાઇન, ટ્રાન્સફોર્મરની મરામત કામગીરી હાથ ધરી હતી. જેમાં વૃક્ષની નડતરરૂપ ડાળીઓ પર દૂર કરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત અડધા શહેરમાં 7 કલાકનો વીજકાપ ઝીંકવામાં આવ્યો હતો. તીવ્ર ગરમીમાં વીજ પુરવઠો 7 કલાક બંધ રહેતા લોકો પરઝેવે રેબઝેબ થઇ ગયા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.