જામનગર જિલ્લાના કાલાવડ પત્નીના વર્તનથી મનમાં લાગી યુવાને આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. નિકાવા ગામે રહેતા એક યુવાને ગળાફાંસો ખાઇ પોતાના જીવનનો અંત આણ્યો હોવાનું ગ્રામ્ય પોલીસમાં જાહેર થયું છે. મૃતકની પત્ની એક મહિનાથી રિસામણે ચાલી ગયા બાદ પત્નીના વર્તનથી મનમાં લાગી આવતાં યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું મૃતકના પિતાએ પોલીસમાં જાહેર કર્યું છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે આ બનાવ સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર જિલ્લામાં આપઘાતનો વધુ એક બનાવ પોલીસ દફતરે પહોંચ્યો છે. જેની વિગત મુજબ કાલાવડ તાલુકા મથકથી 20 કિલો મીટર દૂર આવેલા નિકાવા ગામે રહેતા વિક્રમભાઈ પ્રેમજીભાઈ મકવાણા નામના 25 વર્ષના યુવાને ગઈકાલે તારીખ 18 ના રોજ સવારે આઠ વાગ્યાની આસપાસ પોતાના ઘરે પોતાની મેળે દોરડા વડે ગળાફાસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. આ બનાવની મૃતકના પિતા પ્રેમજીભાઈ રવજીભાઈ મકવાણાને જાણ થતા તેઓએ કાલાવડ ગ્રામ્ય પોલીસ ને જાણ કરી હતી.
જેને લઇને ગ્રામ્ય પોલીસે નિકાવા ગામે પહોંચી, મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ સંદર્ભે ગ્રામ્ય પોલીસ દફતરના હેડ કોસ્ટેબલ આર. વી. ગોહિલે મૃતકના પિતા પ્રેમજીભાઈ મકવાણાનું નિવેદન નોંધ્યું હતું. જેમાં મૃતક અને તેની પત્ની વચ્ચે અવાર નવાર મનદુઃખ ચાલતું હોય અને આ મન દુઃખને લઈને મૃતકની પત્ની છેલ્લા એક મહિનાથી ચાલી ગયેલ હોવાથી આ બાબતે મનમાં લાગી આવતા મૃતકે ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો છે, આ બનાવ સંદર્ભે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.