જામનગર શહેરમાં ચૂંટણીની આદર્શ આચારસંહિતાની અમલી કરણની પ્રક્રિયાઓ ચાલી રહી છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા જુદાં-જુદાં વિસ્તારોમાં મંજૂરી વગરના બેનર- પોસ્ટરો- ઝંડા વગેરે ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ગઈકાલે રવિવારના દિવસે ભારતીય જનતા પાર્ટીના 200 ઝંડા ઉતારી લેવામાં આવ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના 250 ઝંડા દૂર કરવામાં આવ્યા છે. જામનગર શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાંથી દીવાલ પરના લખાણ 240 દૂર કરી દેવાયા છે. ઉપરાંત કુલ તમામ પક્ષના 559 બેનર તથા 213 નંગ મંજૂરી વગરના કટઆઉટ, બેનર, હોર્ડિંગ, ધજા-પતાકા પણ દૂર કરી લેવામાં આવ્યા છે.
મંજૂરી વગર ઝંડા, બેનરો વગેરે લગાવેલા હોવાથી કાર્યવાહી
જામનગર ઉત્તર 78-વિધાનસભા વિસ્તારથી પંચેશ્વર ટાવર, જી.જી. હોસ્પિટલ રોડ સહિતના જુદાં-જુદાં વિસ્તારોમાં લગાવેલા ઝંડા, બેનર, પોસ્ટર કે જે મંજૂરી વગર સ્ટ્રીટલાઇટ અથવા તો પીજીવીસીએલ સહિતની સરકારી મિલકતો પર લગાવેલા હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોઈપણ પ્રકારના ભેદભાવ સિવાય આદર્શ આચારસંહિતાના અમલીકરણ અર્થે રવિવારના દિવસે કરેલી કુલ કાર્યવાહી અંગેનો વહીવટી તંત્ર દ્વારા ઉલ્લેખ કરાયો છે.
રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા મંજૂરી લેવામાં આવી રહી છે
શહેરમાં 78-વિધાનસભા ઉમેદવારો દ્વારા વિસ્તારમાં લગાવવામાં આવેલા બેનરો- પોસ્ટરોની મંજૂરી લેવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરસન કરમુર દ્વારા 600 બેનર-પોસ્ટર ,કિઓસ્ક બોર્ડ સહિતની મંજૂરી લેવામાં આવી છે. 78- વિધાનસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા દ્વારા 210 પોસ્ટર હોર્ડિંગ અથવા કીઓક્સ બોર્ડની મંજૂરી લેવામાં આવી છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર બીપેન્દ્રસિંહ જાડેજા દ્વારા 310 બેનર- પોસ્ટર, જ્યારે બ સ.પા.ના ઉમેદવાર દ્વારા 17 બેનરની મંજૂરી લેવાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.