જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં એક આશાસ્પદ ઇજનેર યુવાનનો અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ મોત મીઠું કરી લીધું છે. બીજી બાજુ રાજકોટના એક માલધારી યુવાને કાલાવડ પંથકમાં તેના વતનમાં આવી અકળ કારણોસર ગળાફાંસો ખાઇ લેતા અરેરાટી મચી જવા પામી છે.
જામનગરમાં ખોડીયાર કોલોની નજીક મધુરમ રેસીડેન્સીમાં રહેતો અને જામનગરની એક ખાનગી પેઢીમાં એન્જિનિયર તરીકે કામ કરતો મૂળ ભાયાવદરનો વતની વત્સલ રોહિતભાઈ અમૃતિયા નામના 29 વર્ષના ઇજનેર યુવાને પોતાના ઘેર પંખાના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે તેની પેઢીના સંચાલક હેત મિલનભાઈ કંડોરીયાએ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત અનુસાર મૃતક યુવાન જામનગરની કન્સ્ટ્રક્શન કંપનીમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતો હતો, અને ખોડીયાર કોલોની મધુરમ સોસાયટીમાં રૂમ ભાડે રાખીને એકલો રહેતો હતો. તેણે કયા સંજોગોમાં આપઘાતનું પગલું ભરી લીધું છે, તે મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.
આ ઉપરાંત અન્ય એક બનાવ કાલાવડ તાલુકાના નાની નાગાજર ગામમાં બન્યો હતો. મૂળ નાગાજર ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતા અને માલધારીનો વ્યવસાય કરતા મંછાભાઈ પબાભાઈ ગમારા નામના 35 વર્ષના યુવાને ગઈકાલે રાજકોટથી પોતાના વતનમાં આવ્યા પછી વાડીની ઓરડીમાં લાકડાની આડસમાં ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતક ના ભાઈ ગેલાભાઈ પબાભાઈ ગમારા એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગેની જીણવટ ભરી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.