ગુજરાતના રાજકારણમાં હાલ બે ચર્ચા ચાલી રહી છે. એક, ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી થશે કે નહીં અને બીજી, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે. નરેશ પટેલ પર હાલ ભાજપ, કૉંગ્રેસ અને આપની નજર છે. ત્રણેય પક્ષ નરેશ પટેલને પોતાના પક્ષમાં લાવવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે. એવામાં છેલ્લા એક અઠવાડિયામાં નરેશ પટેલ ત્રીજીવાર ભાજપના નેતાઓ સાથે દેખાતાં રાજકીય ગતિવિધિ તેજ બની છે. આજે જામનગરમાં આયોજિત ભાગવત સપ્તાહમાં નરેશ પટેલ અને પ્રદેશ ભાજપ-પ્રમુખ સીઆર પાટીલ એક જ મંચ પર જોવા મળ્યા હતા. બંને નેતાનું એકસાથે જ સ્વાગત કરાયું હતું.
જામનગરમાં એક જ મંચ પર પાટીલ અને પટેલ
જામનગરમાં ધારાસભ્ય હકુભા જાડેજાના યજમાનપદે ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં ચાર દિવસમાં નરેશ પટેલની બીજીવાર હાજરીને ઘણી સૂચક માનવામાં આવી રહી છે. ભાગવત સપ્તાહમાં આજે પ્રદેશ ભાજપ-પ્રમુખ સીઆર પાટીલે હાજરી આપી હતી. તેમની સાથે નરેશ પટેલ, જામનગરનાં સાંસદ પૂનમબહેન માડમ, જામનગર દક્ષિણના ધારાસભ્ય આર.સી.ફળદુ અને જામનગર ઉત્તરના ધારાસભ્ય હકુભા જાડેજા હાજર રહ્યાં હતાં.
ચાર દિવસમાં જામનગરમાં નરેશ પટેલ બીજીવાર હાજર રહ્યા
જામનગરમાં ચાલી રહેલા ભાગવત સપ્તાહના પ્રારંભે યોજાયેલી પોથીયાત્રામાં નરેશ પટેલે હાજરી આપી હતી. પોથીયાત્રા સમયે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર, શંભુપ્રસાદ ટુંડિયા અને વરુણ પટેલ સાથે એક જ રથમાં સવાર જોવા મળ્યા હતા. ત્યાર બાદ આજે પ્રદેશ ભાજપ-પ્રમુખની સાથે પણ નરેશ પટેલે જામનગરમાં ચાલી રહેલા ભાગવત સપ્તાહમાં હાજરી આપી હતી. પાટીલ અને પટેલ એક જ મંચ પર હાજર જોવા મળ્યા હતા. આ દૃશ્યો બાદ ચર્ચા શરૂ થઈ છે કે શું નરેશ પટેલ ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે.?
કયા પક્ષમાં જોડાવવું એનો નિર્ણય બાકી- નરેશ પટેલ
નરેશ પટેલ કયા પક્ષમાં જો઼ડાશે એનું સસ્પેન્સ આજે પણ યથાવત્ રાખ્યું હતું. આજે જ્યારે તેમને ભાજપમાં જોડાશે કે નહીં એ અંગે સવાલ કરાતાં તેમણે કહ્યું હતું કે કયા પક્ષમાં જોડાવવું એ અંગે હજી નિર્ણય નથી કરાયો, એટલે કે નરેશ પટેલે કૉંગ્રેસ અને આપની સાથે ભાજપમાં જોડાવવાના પણ તેમના દરવાજા ખુલ્લા રાખ્યા છે.
મંગળવારે શિવરાજ પટેલ પણ જામનગરમાં હાજર હતા
છેલ્લા ત્રણ દિવસ દરમિયાન નરેશ પટેલે જામનગરમાં બીજીવાર હાજરી આપી છે. તેમના પુત્ર શિવરાજ પટેલે પણ મંગળવારે રાત્રે જામનગરમાં યોજાયેલા લોકડાયરામાં હાજરી આપી હતી.
બે દિવસ પહેલાં ભાજપના ચાર ધારાસભ્ય સાથે શુભેચ્છા મુલાકાત
અમદાવાદના ઠક્કરબાપાનગરના ધારાસભ્ય વલ્લભ કાકડિયા સાથે ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ અને અમદાવાદના અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલ પણ હતા. આ ચારેય ધારાસભ્ય ખોડલધામમાં ખોડિયાર માતાજીનાં દર્શને આવ્યા હતા. ત્યારે ખોડલધામથી નીકળતી વખતે નરેશ પટેલ સાથે મુલાકાત થઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ એક શુભેચ્છા મુલાકાત હોવાની પણ વાત બહાર આવી છે. આ ચારેય નેતાએ ખોડલધામમાં મા ખોડલ સમક્ષ શીશ ઝુકાવ્યા બાદ નરેશ પટેલ સાથે મુલાકાત કર્યાનું જાણવા મળ્યું છે.
ચાર દિવસ પહેલાં ભાજપના નેતાઓ સાથે રથમાં સવાર થયા
જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાનપદે જામનગરમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસસ્થાને ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. ત્યારે રવિવારે પોથીયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જામનગર દક્ષિણના ધારાસભ્ય, આર.સી.ફળદુ, ભાજપના નેતા વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર, શંભુપ્રસાદ ટુંડિયા સહિતના નેતાઓએ હાજરી આપી હતી. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ આ પોથીયાત્રામાં હાજર રહ્યા હતા. પોથીયાત્રા દરમિયાન નરેશ પટેલ ભાજપના નેતાઓ સાથે એક જ રથમાં સવાર જોવા મળ્યા હતા.
નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ નિશ્ચિત મનાઈ રહ્યો છે
ખોડલધામમાં પ્રથમ બે તબક્કામાં મળેલી બેઠકમાં સામાજિક ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં ગુજરાતના કન્વીનરો સાથે બેઠક મળી હતી, જેમાં ગુજરાતનાં તમામ શહેરોમાંથી મહિલા અને પુરુષ કન્વીનરો હાજર રહ્યાં હતાં. ગુજરાતના તમામ કન્વીનરોએ નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ એવો સૂર આપ્યો હતો, આથી કન્વીનરોની બેઠક બાદ નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.
સરવે પૂર્ણ થવા પર સૌની નજર
ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે સર્વે હજુ ચાલુ છે અને એ પૂર્ણ થવા પર સૌકોઈની નજર છે. બાદ ટ્રસ્ટીમંડળની બેઠકમાં તારણો કાઢવામાં આવશે. પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ફગાવી દીધા બાદ નરેશ પટેલ કોંગ્રેસ કે અન્ય પાર્ટીમાં જોડાશે કે કેમ એના પર સૌની મીટ મંડાયેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.