જામનગર પર જાણે કે મેઘરાજાએ કહેર વર્તાવ્યો હોય એમ રવિવાર રાતથી સોમવાર સુધી મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે જામનગર જિલ્લાનાં અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ હતી. જળપ્રલયને કારણે જામનગરનું ધુંવાવ ગામ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું અને 24 કલાકના જળતાંડવે ભારે તબાહી નોતરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધુંવાવ ગામે પહોંચ્યા છે અને અસરગ્રસ્તોની મુલાકાત લીધી છે. તેમણે અસરગ્રસ્તોને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે. દિવ્ય ભાસ્કરે ગામની મુલાકાત લીધી હતી, જેમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકોએ રડમસ આખે કહ્યું હતું કે પાણી આવી ગયું અને ઘર ધોવાઈ ગયું. તમામ ઘરવખરી પાણીમાં વહી ગઇ છે. જીવન પૂર્વવત થાય એ માટે ગ્રામજનો ત્વરિત ધોરણે સહાય કરવામાં આવે તેવી અરજ કરી છે. નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ ગામની મુલાકાત લઇ ત્યાંની સ્થિતિનો તાગ મેળવવાના હોવાના અહેવાલ છે, જેને લઇને ગામમાં જનપ્રતિનિધિઓ પહોંચી રહ્યા છે.
ઓછા વરસાદે તારાજ થયું ધુંવાવ
જામનગરમાં અલિયાબાડા અને કાલાવડના ધોધમાર વરસાદના પાણી ધુંવાવ ગામમાં ફરી વળ્યાં હતાં. બીજી બાજુ દરિયામાં ભરતી હતી અને એને કારણે પાણી ગામ તરફ આવતું હતું, તેથી આ ગામમાં પાણીનો દરિયા તરફ નિકાલ ન થતાં ઓછા વરસાદે પણ આ ગામ તારાજ થઇ ગયું હતું.
આ પણ વાંચોઃ જામનગર જિલ્લામાં મેઘરાજાએ એક જ દિવસમાં પાણીનું ચિત્ર પલટ્યું
ઘરોમાં કાદવ જામી ગયા
સ્થળ નિરીક્ષણ કરતાં જોવા મળ્યું છે કે ગામના મોટા ભાગનાં ઘરોમાં વરસાદી પાણીના ભરાઈ જવાના કારણે ઘરોમાં કાદવ જામી ગયા છે. પૂરના પાણીથી ઘરોને ભારે નુકસાન પહોંચ્યું છે. ગામના રસ્તાઓ પણ નજર ફેરવો તો નુકસાનીના મંજર જોવા મળી રહ્યા છે. ધુંવાવ તાલુકા શાળા પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. શાળા કાદવથી ખદબદી રહી છે. ગ્રામજનો ભયાવહ માહોલમાંથી બહાર આવી પોતાના જીવનને પુનઃ ધબકતું કરવા માટે કામે લાગી ગયા છે અને જાતે જ ગામમાં સફાઈ કામગીરી શરૂ કરી દીધી છે.
અનેક પશુઓ તણાયાં
ગ્રામજનો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાક ખૂબ જ ભયાનક હતા. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. પાણીને કારણે અનેક પશુઓ તણાઈ ગયાં છે તો કેટલાંક પશુઓ બાંધેલા હોવાથી એ જ અવસ્થામાં મોતને ભેટ્યાં છે. ખેતરો નદીમાં ફેરવાઈ ગયાં છે.
અમારું બધુંય ધોવાઈ ગયુંઃ પૂરપીડિત
ગામના રહેવાસી આશિષભાઈએ જણાવ્યું હતું કે ગઇકાલે ભયાનક પૂર આવ્યું હતું. પૂરના પાણીમાં ઘર ડૂબી ગયા હતા. આસપાસની પાળીઓ તૂટી ગઇ હતી. આખેઆખા ઘર ધોવાઈ ગયાં છે. અમારું બધુંય ધોવાઈ ગયું છે. ખાવાપીવાનું બધું અમારું પલળી ગયું છે. બધું પાણીમાં જતું રહ્યું. ઘરવખરી પાણીમાં વહી ગઈ છે.
75 ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ
ગઇકાલે આ ગામમાં ભયંકર પૂર આવ્યું હતું. આ પૂરમાં 75 ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો. લગભગ ગામનાં મોટા ભાગનાં ઘરોમાં 5થી 6 ફૂટ જેટલાં પાણી ભરાયાં હતાં. લોકોની ખાવા-પીવાની, ઘરવખરી તમામ વસ્તુ પલળી ગઇ છે. ભયંકર નુકસાન થયું છે. રસ્તા બધા ધોવાઈ ગયા છે. ખેતીને મોટું નુક્સાન થયું છે. 100 ટકા ખેતી પાણીમાં ડૂબી ગઇ હતી. જમીનો અને ખેતી ધોવાઈ ગઇ છે.
સોસાયટીનાં તમામ ઘરોમાં 6-6 ફૂટ પાણી હતું
હસમુખ કણજારિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગામતળ સિવાયની આજુબાજુની સોસાયટી આવેલી છે. જેમાં પોણું ગામ વસેલું છે. આ સોસાયટીનાં તમામ ઘરોમાં 6-6 ફૂટ પાણી હતું. લોકો છત પર જતા રહ્યા હતા. ઘરવખરીને ખૂબ નુકસાન થયું છે. ઘણા ઢોર તણાઇ ગયાં છે. કેટલાંક બાંધેલાં ઢોર મૃત્યુ પામ્યાં છે. આ ગામને સહાય આપવાની જરૂર છે. તાત્કાલિક સર્વે કરાવી મદદ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. અત્યારે માણસો કાલના પૂરમાંથી કેવી રીતે બહાર આવવું એમાં બધા લાગી ગયા છે. દરેક ગ્રામજનોએ કામધંધા છોડીને સામાન્ય જીવન પૂર્વવત થાય એ માટેના પ્રયાસો હાથ ધર્યા છે. બે દિવસથી લાઈટની સમસ્યા છે, જેથી એની વ્યવસ્થા ઝડપથી થાય તેવી રજૂઆત છે.
છથી સાત કલાક સુધી સખત પાણી ગામમાં રહ્યું હતું
અન્ય એક પૂરગ્રસ્ત રહેવાસી નાથીબેન પરમારે જણાવ્યું હતું કે ઓચિંતાનું પાણી આવી ગયું હતું અને છથી સાત કલાક સુધી સખત પાણી ગામમાં રહ્યું હતું. આટલાં વર્ષોમાં કયારેય આટલું પાણી ગામમાં આવ્યું નથી. બે વિસ્તાર પાણીમાં એવા ગરકાવ હતા કે ત્યાંથી કોઇ સંજોગે નીકળી શકાય તેમ ન હતું. અમુકનાં ઘર પડી ગયાં છે તો અનેકની ઘરવખરી પલળી ગઇ છે. કોઇ રસોઇ કરી શકે તેમ નથી. અમે ગામમાં વ્યવસ્થા કરીને લોકોને જમાડી રહ્યા છીએ. ગામમાં લાઈટ નથી. મુખ્યમંત્રીને તાત્કાલિક સહાય આપવામાં આવે એવી રજૂઆત કરીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.