જામનગરમાં રૂ.4 લાખના ચેક રીટર્ન કેસમાં અદાલતે આરોપીને અઢાર મહિનાની કેદ અને રૂ.8 લાખનો લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે રૂ.60 હજારના ચેક પરતના કેસમાં અદાલતે આરોપીને ત્રણ મહિનાની કેદ અને ચેકની રકમનો દંડ ફટકાર્યો છે.
દિ.પ્લોટ વિસ્તારમાં શેરી નં. 49માં આવેલા નહેરૂનગરમાં વસવાટ કરતા રમેશભાઈ જશાભાઈ સાગઠીયા પાસેથી શંકરટેકરી સિદ્ધાર્થ કોલોનીમાં રહેતા જેન્તીભાઈ નરસીભાઈ ચાવડાએ રૂા. 4 લાખ ઉછીના લઇ પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. આ ચેક પાકતી મુદ્દતે બેંકમાં રજૂ કરાતાં અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો. તેથી રમેશભાઈએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસ ચાલી જતા અદાલતે આરોપી જેન્તીભાઈને તકસીર વાન ઠરાવી દોઢ વર્ષની કેદની સજા અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યો છે. તે રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવાનો અને દંડ ભરવામાં ન આવે તો વધુ ચાર મહિનાની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.
અન્ય કેસમાં જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા ક્રિષ્ના પાર્કમાં રહેતા હરદેવસિંહ સદુભા ચુડાસમા પાસેથી નુતન નગરમાં રહેતા રાજેશ માધવજીભાઈ રાયચુરાએ રૂ.60 હજાર ધીરાણ પેટે લઇ ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાંથી પરત ફરતા અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. આ કેસ ચાલી જતા અદાલતે આરોપીને ત્રણ મહિનાની કેદ અને રૂ.60000 નો દંડ ફટકાર્યો છે. હુકમ સમયે આરોપી અદાલતમાં હાજર ન હોય તેની સજાનું વોરંટ કાઢી એસપીને મોકલવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.