જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા ભાઈ-બહેન અને ભાણેજ માનતા પૂરી કરવા માટે જામનગરના લાલપુર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન લોઠીયા ગામના પાટીયા પાસે એક અજાણ્યાં વાહનના ચાલકે યુવકને હડફેટમાં લઈ કચડી નાખ્યો હતો. જેથી બહેનની નજર સમક્ષ જ ભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે અજાણ્યાં વાહનચાલક સામે ગુનો નોંધ્યો છે.
યુવક પગપાળા માનતા પુરી કરવા જઈ રહ્યો હતો
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરના ગોકુલ નગર રડાર રોડ શેરી નંબર આઠમાં રહેતો વિરમભાઈ ચનાભાઈ વાઘેલા નામનો 35 વર્ષનો યુવાન, કે જે કે પોતાની બહેન લાખીબેન કાનાભાઈ સાથેની માનતા હોવાથી મોડી સાંજે વિરમભાઈ પોતાના બહેન લાખીબેન તથા ભાણેજ કરણ (13 વર્ષ) ને સાથે રાખીને જામનગર થી કાઠીદળની માનતા પૂરી કરવા ચામુંડા માતાજીના મંદિરે પગપાળા ચાલીને જઈ રહ્યા હતા.
યુવતી અને બાળકનો ચમત્કારીક બચાવ
આ દરમિયાન જામનગર- લાલપુર રોડ પર લોઠીયા ગામના પાટીયા પાસે પહોંચતાં રાત્રીના અરસામાં પાછળથી પુરપાટ વેગે આવી રહેલા સફેદ કલરની ગાડીના ચાલકે પરમભાઈને પાછળથી હડફેટમાં લઈ ચગદી નાખતાં પોતાની બહેન અને ભાણેજની નજર સમક્ષ જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જેથી ભારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. બહેન લાખીબેન અને ભાણેજ કરણ, કે જેઓ સાઈડમાં ચાલતા હોવાથી તે બંનેનો બચાવ થયો હતો. આ અકસ્માતના બનાવ અંગે મૃતક વિરમભાઈના પિતરાઈ ભાઈ કૈલાશભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે અજ્ઞાત વાહન ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.