ત્રણ દિવસીય પ્રવાસ:જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીના 96 વિદ્યાર્થીઓ માટે સંરક્ષણ સંસ્થાઓનો પ્રવાસ યોજાયો

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા કેડેટ્સને સંરક્ષણ દળોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા સમયાંતરે શૈક્ષણિક અને પ્રેરણાત્મક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં સ્કૂલ દ્વારા ધોરણ-11ના 96 કેડેટ્સ માટે નેશનલ ડિફેન્સ એકેડેમી ખડકવાસલા પુણે, કૉલેજ ઑફ મિલિટરી એન્જિનિયરિંગ, યુદ્ધ સ્મારક અને આઈ.એન.એસ શિવાજી, લોનાવાલા ખાતે ત્રણ દિવસીય શૈક્ષણિક અને પ્રેરણાત્મક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેડેટ્સને માહિતગાર કરાયા
પ્રથમ દિવસે કેડેટ્સે કૉલેજ ઓફ મિલિટરી એન્જિનિયરિંગ, પુણેની મુલાકાત લીધી હતી. શરૂઆતમાં કેડેટ્સે કોમ્બેટ એન્જિનિયરિંગ અને સીબીઆરએન સંરક્ષણના મહત્ત્વના ક્ષેત્રોમાં કોર્પ્સ ઓફ એન્જિનિયર્સના કર્મચારીઓની તાલીમ કેવી રીતે આપવામાં આવે છે તેનું જ્ઞાન મેળવ્યું હતું. પ્રવાસના બીજા દિવસે, કેડેટ્સે સાઉથર્ન કમાન્ડના મુખ્ય મથક ખાતેના યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી હતી, જ્યાં મેજર જનરલ શ્રેય મહેતા, એમજીઓએલ, મુખ્ય મથક, સાઉથર્ન કમાન્ડે કેડેટ્સ સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમને એનડીએમાં જોડાવા માટે પ્રેરિત કર્યા હતા. ત્યાં ટીમ ઓબ્સા, પૂણે દ્વારા પણ કેડેટ્સનું અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમણે કેડેટ્સને ગુડીઝનું પણ વિતરણ કર્યું હતું. બોમ્બે સેપર્સમાં કેડેટ્સને યુપીએસસી એનડીએ અને એસએસબીની તૈયારી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

કેડેટ્સને ફાયર ફેસિલિટી વિંગ અને મ્યુઝિયમમાં લઈ જવામાં આવ્યા
પ્રવાસના છેલ્લા દિવસે, કેડેટ્સે કમાન્ડન્ટની સમીક્ષા પરેડ નિહાળી અને નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકવાસલા, પુણે ખાતે વિવિધ તાલીમ માળખાની મુલાકાત લીધી. કેડેટ્સ માટે આ એક ખાસ પ્રેરક ક્ષણ હતી કારણ કે, તેઓએ તે ભૂતપૂર્વ બાલાચડિયનો સાથે પણ વાતચીત કરી હતી કે, જે એનડીએ ખાતે ઓફિસર્સની તાલીમ લઈ રહ્યા છે. તે પછી આઈએનએસ શિવાજી, લોનાવાલાની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં કેડેટ્સને ભારતીય નૌકાદળમાં કારકિર્દી કેવી રીતે બનાવી શકાય તેનો પરિચય આપવામાં આવ્યો હતો. સાથે-સાથે કેડેટ્સને ફાયર ફેસિલિટી વિંગ અને મ્યુઝિયમમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રવાસમાંથી પાછા ફર્યા પછી, કેડેટ્સ એક અધિકારી તરીકે સંરક્ષણ સેવાઓમાં જોડાવા માટે પ્રેરિત અને પ્રોત્સાહિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...