કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામમાં રહેતાં વૃદ્ધના મકાનની સામે કરિયાણાના દુકાનદારને ત્યાં સામાન લેવા આવેલા શ્રમિકો અપશબ્દો બોલતા હોવાથી ના પાડતા દુકાનદાર અને તેના બે પુત્રો સહિતના ત્રણ શખ્સોએ વૃદ્ધ ઉપર લોખંડના પાઈપ, લાકડાના ધોકા અને ત્રાજવાના તોલા વડે આડેધડ માર મારી લોહી લુહાણ કરી નાખી ઘવાયેલા વૃદ્ધ અને તેના પત્નીને મારી નાખવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામના દેવીપૂજકવાસમાં રહેતાં અને મજુરી કામ કરતા બાધુભાઈ મકવાણા નામના વૃદ્ધના મકાનની સામે ભરત મકવાણાની કરિયાણાની દુકાન હતી અને આ દુકાને સામાન લેવા આવેલા શ્રમિકો દ્વારા અપશબ્દો બોલતા હતાં. જેથી વૃદ્ધે દુકાનદારને અપશબ્દો બોલવાની ના પાડી હતી. જે બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી દુકાનદાર ભરત જગુ મકવાણા, તેનો પુત્ર દિપક મકવાણા, સાગર મકવાણા નામના ત્રણેય શખ્સોએ એકસંપ કરી વૃદ્ધ દંપતી ગુરૂવારે વહેલીસવારના સમયે તેના ઘર પાસે બહાર નિંદ્રાધીન હતાં. ત્યારે ત્રણેય શખ્સોએ વૃધ્ધને ઉઠાડીને બોલાચાલી કરી લોખંડના પાઈપ, લાકડાના ધોકા અને ત્રાજવાના તોલા વડે આડેધડ ઘા ઝીંકી હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતાં. ઉપરાંત ત્રણેય શખ્સોએ વૃદ્ધ અને તેની પત્ની મંજુબેનને મારી નાખવાની ધમકી આપી હતી.
હુમલામાં ઘવાયેલા બાધુભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતા હેકો એન.કે. છૈયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ ઈજાગ્રસ્ત બાધુભાઈના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.