જામજોધપુરના એક આસામી સહિતના રોકાણકારોને આકર્ષક વળતરની ખાતરી આપી સ્ટેમ્પ પેપર પર લખાણ સાથે ચેકો આપી વિશ્વાસ કેળવ્યા બાદ રકમ કે વળતર નહી ચુકવી રૂ.2.37 કરોડની છેતરપીંડી આચર્યાના પ્રકરણમાં પોલીસે આરોપી ત્રિપુટી પૈકી સુત્રધાર મનાતા જામનગરના છાશ-લસ્સીના વેપારીની ધરપકડ કરી હતી જેને અદાલતમાં રજુ કરી તેના સાત દિવસના રીમાન્ડ મેળવી સધન પુછપરછ હાથ ધરી છે જે દરમિયાન ઠગાઈનો ભોગ બનેલા વધુ બે આસામી પણ સામે આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
જામજોધપુર પોલીસ મથક ખાતે સ્થાનિક આસામીની ફરિયાદના આધારે પોલીસે ભાવેશ મહેતા, નિઝાર સદરૂદ્દીન આડતિયા અને દોલત દેવાનદાસ આહુજા સામે રૂા.2.37 કરોડની ઠગાઈ મામલે ગુનો નોંધ્યો હતો જે પ્રકરણમાં પોલીસે જામનગરના વેપારી ભાવેશ મહેતાની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરી તેના સાત દિવસના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ હાથ ધરી છે.
બીજી બાજુ પોલીસે જાહેર જનતાને પણ અપીલ કરી હતી કે, જો કોઈ ઠગાઈનો ભોગ બન્યા હોય તો સંપર્ક સાધે. જેના અનુસંધાને જામજોધપુર સહિતના જુદા જુદા વધુ બે ભોગ બનનારા પણ સામે આવ્યા છે. જેઓએ પણ માતબર રકમ ગૂમાવ્યાનું જાણવા મળ્યું છે જેના નિવેદન નોંધી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.