રામ નવમીની ઉજવણીના ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગો પર કેસરી ઝંડીઓ લગાવવામાં આવી હતી, જેમાં ભથાણ ચોકની મસ્જિદ પાસે સાંજના સમયે એક મુસ્લિમ યુવકે કેસરી ઝંડીને આગ ચાંપી દીધી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફરતો થતા દ્વારકામાં પરિસ્થિતિ તંગ બની હતી, જેથી મોડી રાત્રે દ્વારકા પોલીસ સ્ટેશન પર લોકોનાં ટોળેટોળાં ઊતરી પડ્યાં હતાં. આ દરમિયાન કેટલાક લોકો ઝપાઝપી પર પણ ઊતરી આવ્યાં હતાં. જોકે બાદમાં દ્વારકા એસપીની દરમિયાનગીરીથી મામલો શાંત પડાયો હતો.
ખેતરમાંથી શોભાયાત્રા પર પથ્થરમારો થયો, ઘર, 2 દુકાન, 2 લારી સળગાવાઈ
ખંભાતના શક્કરપુરા વિસ્તારના રામજી મંદિરે રવિવારે રામ નવમીની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જોકે આ શોભાયાત્રા મંદિરથી માંડ 500 મીટર દૂર પણ પહોંચી ન હતી તે વખતે બાવળિયાના ખેતરમાંથી અચાનક શોભાયાત્રા પર પથ્થરમારો શરૂ થયો હતો, જેથી શોભાયાત્રામાં સામેલ અંદાજે ત્રણ હજારથી વધુ લોકોમાં નાસભાગ મચી હતી. બંને બાજુથી અચાનક સામસામે પથ્થરમારો થતાં 5થી વધુ પોલીસ જવાન સહિત 15થી વધુ લોકોને ઇજા થઈ હતી, જ્યારે એકનું મોત નીપજ્યું હતું. બીજી તરફ વીફરેલાં ટોળાંએ ખંભાતના ટાવર બજાર વિસ્તારમાં બે દુકાન, ચપ્પલની બે લારીઓ અને રજપૂતવાડાના નાકે એક ઘરમાં આગચંપી કરી હતી.
પોલીસની હાજરીમાં જ પેટ્રોલ-બોમ્બ, તીરથી હુમલો, 20 લોકોની અટકાયત
હિંમતનગરના છાપરિયામાં રવિવારે બપોરે રામ નવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર કેટલાક મુસ્લિમ લોકોએ પથ્થરમારો કરી 5 બાઇક, 4 કારમાં તોડફોડ કરી આગચંપી કરી હતી, જેને પગલે બંને જિલ્લાની પોલીસ ખડકી દેવાઈ હતી. ત્યાર બાદ સાંજે ફરી નીકળેલી શોભાયાત્રામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં પેટ્રોલ બૉમ્બ, તીરથી હુમલો કરતાં સ્થિતિ વણસણી હતી. ટોળાંને વિખેરવાં 50થી વધુ ટિયર ગેસના સેલ છોડાયા હતા. વીએચપીએ કાઢેલી શોભાયાત્રા પર સાંજે થયેલા હુમલામાં સાબરકાંઠા એસપી વિશાલકુમાર વાઘેલા પણ ઇજાગ્રસ્ત થયા હતા. છાપરિયામાં તોફાન બાદ ન્યાયમંદિર વણઝારા વાસમાં પણ કેટલાકે પથ્થરમારો કર્યો હતો. પોલીસે કુલ 20ની અટકાયત કરી છે. જ્યારે 13 એપ્રિલ સુધી કલમ 144 લગાવાઈ છે. સાબરકાંઠાના કલેક્ટર હિતેશ કોયાએ જણાવ્યું કે, પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે, અરવલ્લી જિલ્લામાંથી પણ વધારાનો પોલીસ કાફલો મગાવાયો છે.
શોભાયાત્રાના પ્રારંભે જ મહિલાઓ સહિતનું ટોળું હથિયારો સાથે ઊભું હતું
શોભાયાત્રાના પ્રારંભે જ મુસ્લિમોનું ટોળું કસ્બા વિસ્તાર આગળ પથ્થરો, હથિયારો લઈને મોટી સંખ્યામાં ઊભું થઈ ગયું હતું. મહિલાઓ પણ હથિયારો લઈને દોડી હતી. છાપરિયામાં બપોરથી સાંજ સુધી ચાલેલાં તોફાનના પડઘા ન્યાયમંદિર વણઝારા વાસમાં પણ પડ્યા હતા. કેટલાક લોકોએ આ વિસ્તારમાં પણ પથ્થરમારો કરી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.