હાલોલ તાલુકા સહિત હાલોલ નગરના વિવિધ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવના પાવન પર્વે હનુમાન જયંતિની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હાલોલ નગરના કંજરી રોડ પર આવેલ ભીડ ભંજન હનુમાનજી મંદિર ખાતે કંજરી રામજી મંદિરના મહંત રામશરણદાસ મહારાજની પાવન ઉપસ્થિતિમાં શનિવારે અખંડ રામાયણ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદિર ખાતે વહેલી સવારે 9:00થી મારુતિ યજ્ઞ મનો આરંભ કરાયો હતો.
જે 2:00 વાગે સંપન્ન થયો હતો. જ્યારે મંદિર ખાતે 6:15 કલાકે હનુમાન દાદાની મહાઆરતી કરવામાં આવી હતી. જે બાદ સાંજે 7:00 કલાકે હનુમાનજી ભક્તોનાં લાભાર્થે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભીડ ભંજન હનુમાનજી મંદિર ખાતે વહેલી સવારથી જ નગરજનોએ હનુમાન દાદાના દર્શન કરી મારુતિ યજ્ઞ અને મહા આરતી અને ભંડારાનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
હાલોલ તાલુકાના બીલીયા પુરા ગામે આવેલ સવાસો વર્ષ પૌરાણિક બાલા ભોલા હનુમાનજી મંદિર ખાતે 11 કુંડી યજ્ઞ સહિત હજારો હનુમાન ભક્તો માટે મહા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાના પીપળીની મુવાડી ગામમાં ગામના વડીલો અને યુવાનો દ્વારા બાલા હનુમાન મંદિરે યજ્ઞ યોજી હનુમાન દાદાની પૂજા અર્ચના કરી હનુમાન જયંતીની ઉજવણી કરી હતી. જેમા હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા, ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ દશરથ પરમાર હાજરી આપી હતી.
હાલોલ નગરની બહાર બાયપાસ રોડ પર આવેલા સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યા મંદિર ખાતે પણ હનુમાન જયંતિની સંતશ્રીઓની હાજરીમાં વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફ દ્વારા ઉજવણી કરાઇ હતી. જેમાં સંત શ્રી કેશવ સ્વરૂપદાસ મહારાજે હનુમાનજીનો મહિમા સમજાવ્યો હતો. આ પ્રસંગે સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યા મંદિરના સંત કેશવ પ્રસાદ મહારાજ, સંત સંત સ્વામી મહારાજ શાળાના આચાર્ય, શિક્ષકો, અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.