ઉના તાલુકાના આમોદ્રા ગામના મુખ્ય માર્ગ પર તાજેતરમાં બનાવવામાં આવેલા રસ્તામાં નાળાંનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. અહીં સોસલિયાનું નાળું પણ આવેલ છે. જે વર્ષો જૂનું અને ખૂબ જ જર્જરીત છે. જેના કારણે ચોમાસા દરમિયાન અવાર નવાર પુર આવતા અહીં આમોદ્રાને જોડતો મુખ્ય રસ્તો સંપૂર્ણ બંધ થઈ જાય છે. જ્યારે બીજી બાજુ નાઠેજ હાઈવેથી સુલતાનપુર આમોદ્રાને જોડતો રોડ શાહી નદીમાં આવતા પૂરના કારણે બંધ થઈ જતા ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે.
ગામની નજીક જ મુખ્ય રસ્તા પર આ નાળું આવેલું છે. મોટાભાગના ખેડૂતો સવાર સાંજ બંને સમયે પશુપાલન માટે વાડીએ જતા આવતા હોય છે. વેપાર ધંધા માટે ઉના જતા લોકો કલાકો સુધી ગામમાં પ્રવેશ કરી શકતા નથી કે બહાર જઈ શકતા નથી. જો ગામમાં કોઈ વ્યક્તિ બીમાર પડે કે ઈમરજન્સી લઈ જવાના હોય ત્યારે પણ ગામ સંપર્ક વિહોણું થઈ જવાના લીધે તાત્કાલિક સારવાર મળતી નથી. ગામ લોકો વર્ષોથી આ યાતના ભોગવે છે.
આ બાબતે અવાર નવાર પંચાયત માર્ગ અને મકાન વિભાગને રજૂઆત પણ કરવામાં આવી છે. 2021માં આવેલા તૌકતે વાવાઝોડામાં પણ નુકસાન થયું હતું. ઉપરોક્ત ઉના આમોદ્રાના મુખ્ય રસ્તા પર આવેલ સોસલનયાના નાળાં માટે ચોમાસું આવે તે પહેલા કામનો જોબ નંબર અપાવીને તેમનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી આમોદ્રા ગ્રામ પંચાયત દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમજ માર્ગ મકાન વિભાગ અને ધારાસભ્યને પણ જાણ કરી હોવાનું આમોદ્રાનાં અગ્રણી અજીત ભાઈ મોરીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.