ઊના પંથકના સામતેર ગામે છેલ્લા ઘણા વર્ષોથી પશુ દવાખાનું જર્જરિત હાલતમાં છે. ત્યારે આ પંથકના પશુપાલકોને પોતાના પશુ બિમાર પડે ત્યારે સારવાર માટે ખાનગી પશુ ડોક્ટરનો સહારો લેવો પડે છે. જેથી તાત્કાલીક પશુ દવાખાનાનું જર્જરિત બિલ્ડીંગ નવુ બનાવી પશુ ડોક્ટરોની નિમણૂંક કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. ઊના પંથકના સામતેર ગામે વર્ષોથી પશુ દાવાખાનું છે. પરંતુ આ દવાખાનાનું બિલ્ડીંગ સાવ જર્જરિત હાલતમાં ફેરવાયું છે. ત્યારે પશુ ડોક્ટરની વાત જ ક્યા રહે. જો કે, આ વિસ્તારના આજુબાજુના ગામોમાં મોટાભાગના ખેડૂતો પશુ પાલન કરી રહ્યાં છે.
પરંતુ હાલ લમ્પી વાયરસે માથુ ઉચકતા પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે સામતેરના રહીશ રાજાભાઇ રામભાઇ જાદવ નામના પશુપાલકે કહ્યું હતું કે, અમારા ગામમાં પચાસ ટકા લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. પરંતુ હાલ અહી પશુ ડોક્ટર નથી આવ્યા કે લમ્પી વાઇરસની રસી પણ હજી સુધી મુકવામાં આવેલ નથી. જેથી આ વિસ્તારમાં તંત્ર દ્રારા તાત્કાલીક ધોરણે નવુ પશુ દવાખાનું ઉભુ કરી પશુ ડોક્ટરની નિમણૂંક કરાય અને પશુઓને લમ્પી વાયરસની રસીઓ આપવામાં આવે એવી ખેડૂતો અને પશુપાલકોએ માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.