ઊનાનાં સૈયદ રાજપરા ગામ તેમજ આજુબાજુના ગામોના છાત્રો મોટી સંખ્યામાં ઊના ખાતે શાળા- કોલેજમાં અભ્યાસ અર્થે આવતા હોય છે. પરંતુ છાત્રોને પરત પોતાના ગામ જવા માટે એસટીની સુવિધા ન હોવાથી ખાનગી વાહનોમાં વધુ ભાડા ચૂકવી જવા મજબૂર બની રહ્યાં છે. જેથી વિદ્યાર્થીઓના હિતમાં એસટી બસની સુવિધા તાત્કાલીક શરૂ કરવામાં આવે એવી સરપંચ ભરતભાઈ કામળીયા દ્વારા ઊના એસટી ડેપોને લેખીતમાં રજૂઆત કરાઈ છે.
ઊનાના સૈયદ રાજપરા, માણેકપુર, દુધાળા, સિમર, ખજુદ્દા, દાંડી, સેંજળીયા, ખડા, કાળાપાણ, ખાણ સહીતના ધો-10થી કોલેજ સુધીના મોટી સખ્યામાં વિદ્યાર્થીઓ ઊના ખાતે આવે છે. અને મોટા ભાગની શાળા- કોલેજનો સમય સવારથી બપોર સુધીનો હોય છાત્રોને પરત ગામ સુધી પહોંચવા માટે કોઈ બસની સુવિધા ન હોવાથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલ ઊનાથી સવારે 10 કલાકે સૈયદ રાજપરા ગામે એક બસ આવે છે.પરંતુ તે સવારના 10 વાગ્યાની હોય છાત્રોને અનુકુળ આવે તેમ નથી. જેથી વિદ્યાર્થીઓના શિક્ષણકાર્યના સમયને ધ્યાને રાખી એસટી ડેપો દ્વારા બસ ફાળવવામાં આવે તો છાત્રો સમયસર ઘરે પહોંચી શકે. જેથી આ રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલીક એસટી બસની સુવિધા શરૂ કરાવે એવી માંગ સરપંચ ભરતભાઈ કામળીયા દ્વારા ઊના ડેપો ઈન્ચાર્જ વિભાગને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.