ઉના તાલુકાના દરીયાઈ સીમા નજીક વરસાદ, વાવાઝોડું ફૂંકાય એ વખતે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવે ત્યારે, નજીકના બનાવેલાં સાયક્લોન સેન્ટરમાં રહી શકે છે. તેવાં હેતુસર કેન્દ્ર સરકાર ગુજરાત રાજ્ય સરકારનાં સહયોગથી ઉનાના સીમર, સૈયદ રાજપરા, દુધાળા, સેજલીયા, ખડાં, નાલીયા માંડવી, દેલવાડા, કોબ, પાલડી, ખજુદા, તડ, ઓલવાણ દરિયાઈ પટ્ટીનાં ગામોમાં કરોડોનાં ખર્ચે અત્યંત આધુનિક સુવિધા ઉપલબ્ધ સાયક્લોન સેન્ટર બનાવી નાખવામાં આવેલા છે.
પરંતુ તેની જાળવણી અને સુરક્ષા સંબંધી ગાઇડ લાઇનનાં અભાવે વહીવટી તંત્રએ ગ્રામ પંચાયતને કબ્જો સોંપેલો નથી. સંપૂર્ણ સંચાલન મામલતદાર કચેરીમાં થતું હોય આ સાયક્લોન સેન્ટરમાં વિજ જોડાણ અપાયેલાં હોવાથી પી.જી.વી.સી.એલ.ના બીલનાં નાણાં રૂ. 2,11,500 બાકી નિકળતા અને બિલ નહીં ભરાતાં વિજ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ નવા બનાવેલા સાયક્લોન સેન્ટરનાં વિજ બીલ ગ્રામપંચાયતને ભરવાની જવાબદારી નાખતાં પંચાયત સેવા આપતાં પદાધિકારીઓ અને જવાબદાર તલાટી મંત્રીએ હાથ ઉંચા કરીને આ બીલની રકમ ક્યાં હેડમાં ઉધારવી તેની સ્પષ્ટતા કરવા માંગણી કરાયેલી છે.સાયકલોન સેન્ટર બન્યાં ત્યારથી આજ દીવસ સુધી રેકર્ડ પર પંચાયતને લેખીતમાં સોંપાયેલ નહીં હોવાથી વહીવટ કરતી મામલતદાર કચેરી દ્વારા બાકી નાણાં પીજીવીસીએલ કચેરીને ભરપાઈ કરવા માંગણી કરાયેલ હતી.
લેખીત કબ્જો પંચાયત સેવાને સોંપ્યા બાદ આ સાયક્લોન સેન્ટરનાં વિજ બીલ અને મેન્ટેનન્સ ખર્ચ માટે સમિતિની રચનાઓ ગ્રામ પંચાયત દ્વારા કરી તેનું અલગ બેંક એકાઉન્ટ ખોલવાની કાર્યવાહીનાં ઠરાવો પંચાયત હોદ્દેદારો દ્વારા કરી જેતે વિભાગનાં જવાબદાર અધિકારીઓને મોકલવામાં આવેલા છે.
ઉના ગીરગઢડા પંથકમાં પીજીવીસીએલ કચેરી દ્વારા વિજ જોડાણનાં બાકી રહેતાં નાણાંની ઉધરાણી વસુલાતની કામગીરી હાથ ધરી 571 વિજ ગ્રાહકનાં કનેક્શનની તપાસ કરી હતી. જેમાં 101 ગ્રાહકના કનેક્શનમાં રૂ. 17 લાખ 68 હજારની વિજ ચોરી પકડી પાડીને તેની સામે કાર્યવાહી હાથ ધરાયેલી હતી. આ કામગીરીમાં પી.જી.વી.સી.એલ.ની 38 ટીમના 120 કર્મચારીઓ જોડાયા હતા અને ડ્રાઇવ કરી વીજ ચોરી પકડી પાડેલી છે. પીજીવીસીએલ દ્વારા સાયક્લોન સેન્ટરના બીલ બાકી હતાં. તેવાં સેન્ટરનાં વિજ જોડાણ કાપી નાખ્યાં હતાં.
ફેબ્રુઆરી 2023 સુધી મામલતદારના હાથમાં
ઉના તાલુકાના દરીયાઈ સીમા નજીક બનાવેલ સાયક્લોન સેન્ટરનાં કબ્જો ફેબ્રુઆરી 2023 સુધી મામલતદાર પાસે રહ્યો હતો. ફેબ્રુઆરી પછી કબ્જા પંચાયત કચેરીનાં તલાટી મંત્રીને સોંપતા પંચાયત દ્વારા બીલ નહીં ભરવા જણાવી જેતે સમયનાં બીલ મામલતદાર કચેરી ભરે તેવી પંચાયતે માગ કરી ઠરાવો કરેલા હોવાનું સૈયદ રાજપરા ગ્રામ પંચાયત સરપંચ ભરત કામળીયાએ જણાવેલું હતું.
ઉના મામલતદાર આર આર ખાંભરાનો ટેલીફોનીક સંપર્ક કરતા જણાવેલું કે, સાયક્લોન સેન્ટર માટે મામલતદાર નથી, કે ગ્રામ પંચાયત પણ નથી. આના માટે અલગજ ખાતુ બનાવેલું છે. આ માટે વ્યક્તિગત જવાબદારી નથી, પરંતુ સાયક્લોન સેન્ટરમાંથી આવક આધારે ચુકવણુ કરવાનું છે. કોઇ પ્રસંગ કે ચૂંટણી દરમિયાન પોલીસ સ્ટાફ માટે ફાળવેલું હોય તેનું ભાડે આપતા હોય છે. તે આવક માંથી રકમની ચુકવણી કરવાની હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.