ગીરનાર તીર્થની ગોદમાં ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય હેમવલ્લભસૂરિજી મહારાજ અને પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં 99 યાત્રાતો મહોત્સવ ચાલી રહ્યો છે. આ તકે જૈનાચાર્ય જિનેશરત્નસૂરિજી મહારાજની પાવન પધરામણી થઈ હતી. અને સાધ્વીવર્યા હંસકીર્તિજીના 83માં વર્ષના મંગળ પ્રવેશ પ્રસંગે અક્ષતથી વધામણાં કરવામાં આવ્યા હતા. દરમિયાન પદ્મદર્શન વિજયજી મહારાજે જણાવ્યું હતું કે, તંદુરસ્તી લાઈફબોય સાબુથી નહી પણ લાઈફ સ્ટાઈલ બદલવાથી આવે છે.
સંપત્તિના નુકસાન કે સ્વજનોના અપમાનને ઝીલી શકાય પણ શરીરની સ્વસ્થતા ન હોય તો નવનેજે પાણી ઉતરે છે. ડોકટર કેન્સરની શક્યતા વ્યક્ત કરતાં જ પગ નીચેની ધરતી ખસ જશે. ભલે તમારી પાસે કરોડોની સંપત્તિ હોય, રહેવા માટે આકર્ષક બંગલો હોય, પ્રભાવશાળી વ્યકિતત્વ હોય અને દિવાલ પર સર્ટીફિકેટોની હારમાળા લટકેલી હોય પણ શરીરમાં રોગોએ ઘેરો ઘાલ્યો હોય તો એ બધાનું કોઈ મૂલ્ય નથી. બેંક બેલેન્સ ભલે 500 કરોડ હોય પણ શરીરમાં ચોથા સ્ટેજનું કેન્સર હોય, તમારો ફલેટ 15 કરોડનો હોય પણ અર્ધું અંગ લકવાગ્રસ્ત બન્યું હોય તો સંપત્તિ કે ફલેટની કોઈ કિંમત નથી. શરીરની તંદુરસ્તી અને મનની પ્રસન્નતા જીવનમાં બહુ મહત્વની છે.
સાંભળી શકે તેવા કાન, બોલી શકાય તેવી જીભ, જોઈ શકાય નેવી આંખ, ચાલી શકાય તેવા પગ, પચાવી શકાય તેવી હોજરી અને વિચારી શકાય તેવું મન જો આપણી પાસે ન હોય તો જે મળ્યું છે તેનું કોઈ મૂલ્ય ન ગણાય. તનને તંદુરસ્ત રાખવા માટે કેટલાક નિયંત્રણો હોવા જોઈએ. ગમે ત્યારે, ગમે તેવું ખાવાનું બંધ કરો, રાત્રે 10 પછી મોબાઈલ બંધ કરો, રાત્રે મોડા રખડવાનું બંધ કરો. સવારે વહેલા ઊઠવાનું રાખો. જો તમારી પાસે આવું સત્વ આવશે તો શરીરની તંદુરસ્તી ટકાવવા તમને કોઈ અવરોધ નહી નડે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.