ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવળી ગામના મજેવડી વાડી વિસ્તારને ઘણા દિવસોથી ખુંખાર દિપડાએ બાનમાં લઈ શ્વાન સહિતના પશુઓનું મારણ કરીને દહેશત ફેલાવી રહ્યો હતો. જેને લઈ ગ્રામજનોએ વનવિભાગ ને રજુઆત કરતા પાંજરા મૂકવામાં આવેલ જેમાં દિપડો કેદ થઈ જતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
છેલ્લા ઘણા સમયથી જિલ્લાના કોડીનાર ઉપરાંત તાલાલા ગીર, સુત્રાપાડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં દિપડાઓનો ત્રાસ વધ્યો છે. જેમાંથી મુક્ત કરાવવા માટે ખેડુતો અને ગ્રામજનો સતત માંગણી કરી રહ્યા છે. જો કે વનવિભાગ પણ સતત સક્રીય રીતે દિપડાઓને કેદ કરવા કામગીરી કરી રહ્યો છે. જેમાં વધુ એક દિપડો પાંજરે પુરાયો છે. જેની જાણવા મળેલ વિગતોનુસાર કોડીનાર તાલુકના દેવળી ગામના મજેવડી વાડી વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોમાં ખુંખાર દિપડો સતત શ્વાન અને પશુઓનું મારણ કરીને દહેશત ફેલાવી રહ્યો હતો.
જેના લીધે રાત્રીના સમયે ખેતરે રખોપુ કરવા જતાં ખેડુતો અને ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી હતી. આ દહેશત અંગે રજુઆતો બાદ વનવિભાગે મજેવડી વાડી વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ મારણ સાથેના પાંજરા ગોઠવી વોચ રાખી હતી. જેમાં ગઈકાલે મોડીરાત્રીના મારણ ખાવાની લાલચે દિપડો પાંજરામાં જતા કેદ થઈ ગયો હતો. બાદમાં પાંજરા સાથે દિપડાને નજીકના એનીમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવેલ હતો. દિપડો પાંજરે પુરાતા તંત્ર અને ગ્રામજનોએ રાહતની.લાગણી અનુભવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.