ગાંધીનગર જિલ્લાની આગવી ઓળખ સમો 'વસંતોત્સવ' એટલે લોકનૃત્યની કલાને લોક હૃદય સુધી પહોંચાડવાનું માધ્યમ.ગુજરાતમાં મુખ્ય ત્રણ મોટા સાંસ્કૃતિક કાર્યક્રમ દર વર્ષે યોજાય છે. જેમાં ભારતીય નૃત્યકલા (ક્લાસીકલ ડાન્સ) માટે 'ઉત્તરાર્ધ મહોત્સવ' જે મોઢેરા સુર્ય મંદિર ખાતે ઉજવાય છે, બીજો શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલો 'તાના-રીરી' મહોત્સવ વડનગર ખાતે તથા મુખ્ય લોક નૃત્ય(ફોક ડાન્સ )ના મહાપર્વ તરીકે ગાંધીનગર ખાતે ઉજવાતા ‘વસંતોત્સવ’નો સમાવેશ થાય છે. જેની સાંસ્કૃતિક કુંજ ખાતે 11 થી 20 માર્ચ સુધી ઉજવણી કરવામાં આવશે.
ગાંધીનગરની વિશેષ ઓળખ બની ચૂકેલા આ વસંત ઉત્સવની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ ઉત્સવની શરૂઆત 1996થી કરવામાં આવી.ગાંધીનગર માટે ગૌરવની વાત કહી શકાય કે, આવો ઉત્સવ ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં સૌપ્રથમવાર ગાંધીનગરમાં શરૂ થયો હતો. જે હવે ધીમે ધીમે અનેક રાજ્યોમાં પણ વિસ્તરણ થઇ રહ્યો છે. દસ દિવસ ચાલતા આ ‘વસંતોત્સવ'નું મુખ્ય આકર્ષણ ગુજરાત તથા અન્યરાજ્યના જુદા જુદા લોક નૃત્ય છે. સાબરમતી નદીના પટની કોતરોમાં પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે, કુદરતના ખોળે સંસ્કૃતિક કુંજ અસ્તિત્વમાં આવ્યું. જ્યાં આ વસંત ઉત્સવ દર વર્ષે ઉજવાય છે.આ વર્ષે 2023માં 11 થી 20 માર્ચ સુધી દસ દિવસ આ ઉત્સવ ઉજવાશે.
‘વસંતોત્સવ’ને સંસ્કૃતિ મેળા તરીકે પણ લોકો ઓળખે છે. અહીં આવનાર દરેક વ્યક્તિને આ કોતરોમાં બનાવેલ માટીના પરંપરાગત રંગમંચ અને બેઠક વ્યવસ્થા જોઈ કુદરતી વાતાવરણની અનુભૂતિ થાય છે. આ ઉત્સવમાં દસ દિવસ દરમિયાન રોજના છ થી સાત લોક નૃત્ય અહીં રજૂ કરવામાં આવશે. જેમાં આ વર્ષે ગુજરાતના સુપ્રસિધ્ધ ગરબા ઉપરાંત ડાંગ જિલ્લા દ્વારા ડાંગી નૃત્ય, તાપી જિલ્લા માંથી ઢોલ નૃત્ય, ભરૂચ જિલ્લાનું પ્રસિધ્ધ સીદ્દી ધમાલ નૃત્ય, છોટા ઉદેપુરથી રાઠવા હોળી નૃત્ય, નર્મદા જિલ્લાથી મેવાસી નૃત્યની અહીં પ્રસ્તુતિ માણી શકાશે.તથા તુરી બારોટ સમાજના લુપ્ત થતા જતા મેવડો, મરચી ,બેડા નૃત્ય તથા સળગતો ગરબો, મંજીરા રાસ વગેરે નૃત્યકૃતિ પણ કલારસિકો માણી શકશે.
આ મહોત્સવનું આકર્ષણ છે વિવિધ રાજ્યોના લોક નૃત્યો. વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર રાજસ્થાન ઉદયપુરના સહયોગથી પંજાબ, રાજસ્થાન, આસામ, છતિસગઢ, હરિયાણા , પંશ્ચિમ બંગાળ, મણિપુર, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, ઓડિસા વગેરે રાજ્યોના લોકનૃત્યની પ્રસ્તુતિ પણ અહીં રજુ કરવામાં આવશે.ઉપરાંત કાર્યક્રમ દરમિયાન નવરાત્રી મહોત્સવમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ આવનાર કૃતિના કલાકારોને પણ અહીં મંચ આપવામાં આવે છે.
જેમાં ગણેશ વંદના, પ્રાચીન ગરબા, અર્વાચિન ગરબા, રાસ વગેરે સામેલ છે. 'વસંતોત્સવ' દરમિયાન લોક નૃત્ય ની મોજ તો માણી જ શકાય છે, સાથે સાથે રાજ્ય અને રાજ્ય બહારથી આવતા હસ્તકલા કારીગરો દ્વારા બનાવાતી ચીજ વસ્તુઓ ખરીદી શકાય અને કારીગરોને પ્રોત્સાહન મળે તે હેતુથી અહીં હાટ બજાર પણ બનાવવામાં આવે છે.જેમાં ગુજરાત માંથીતો કચ્છ,સૌરાષ્ટ્ર,ડાંગ જેવા જિલ્લાઓ માંથી હસ્તકલા કારીગરો આવે છે. ઉપરાંત વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટરના માધ્યમથી રાજ્ય બહારનાં હસ્તકલા કારીગરોને પણ અહીં આવે છે. તેમની કલાની ઓળખ સાથે કમાણી પણ થઈ શકે તેવું માધ્યમ આ વસંતોત્સવ બને છે.અહીં આપણા પરંપરાગત વ્યંજનોનો રસાસ્વાદ માણી શકાય તે માટે ખાણીપીણી બજાર અહીં એક અનોખું આકર્ષણ છે.
આ ઉત્સવનું એક નવું નજરાણું એટલે સુપ્રસિદ્ધ લોક કલાકારો દ્વારા લોક સાહિત્યની પ્રસ્તુતિ છે. દર્શકોને કંઈક નવું મળી રહે તેવા આશય સાથે થોડા વર્ષોથી આ કૃતિઓની પ્રસ્તુતી રજુ કરાઈ. ગુજરાતી લોકસાહિત્યના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા રજૂ કરવામાં આવે છે.જે અંતર્ગત આવર્ષે ઉત્સવ દરમ્યાન ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારોને માણવાનો મોકો ફરી મળશે. જેમાં ઓસમાન મીર, અભિતા પટેલ, સાંઈરામ દવે, ગીતાબેન રબારી, ભાવિન શાસ્ત્રી, જીગ્નેશ કવિરાજ, કિર્તીદાન ગઢવી, અનિરુધ્ધ આહીર, દેવ ભટ્ટ, લોક સંગીતને પ્રસ્તુત કરતા મેઘધનુષ બેન્ડ વગેરેને 'વસંતોત્સવ' દરમ્યાન લાઈવ સાંભળવાનો અવસર કલાપ્રેમીઓ લઈ શકશે.ગાંધીનગર વાસીઓનો આગવો ક્રમ બની ગયો છે, વસંતઋતુના વધામણાં લોક કલા સંસકૃતિની આરાધના થકી કરવાનો વસંતોત્સવ ખરા અર્થમાં કલાનગરી ગાંધીનગરની આગવી ઓળખ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.