છેલ્લા બે દિવસથી બફારો અને ગરમી બાદ શનિવારે સાંજે વાવાઝોડા સાથે કમૌસમી વરસાદ પડતા ખેતરમાં ઉભો પાકને નુકશાનથી ખેડુતોના હાથમાં આવેલો કોળિયો છિનવાયાનો અનુભવ કર્યો છે. વરસાદથી ઘઉં, કેરી, ચીકુ, રાઇડો, કપાસ સહિતના પાકને નુકશાન થવાની શક્યતા ખેડુતોએ વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી હતી. જે સાચી પડતી હોય તેમ શનિવારે સાંજે વાવાઝોડા સાથે નગર અને જિલ્લાના અમુક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડ્યો છે. આથી ફાગણ માસમાં અષાઢી માસનો અનુભવ નગરવાસીઓને કરાવ્યો હતો.
સમી સાંજે ફુંકાયેલા વાવાઝોડાના કારણે ટુ-વ્હિલચ ચાલકોને હાલાકી પડતી હતી. વાવાઝોડાના કારણે સામે દેખાતું નહી હોવાથી વાહન ચાલકોને હેડ લાઇન ચાલુ કરવાની ફરજ પડી હતી. જોકે વાવાઝોડા સાથે પડેલા વરસાદને પગલે બાફ અને ગરમીમાંથી નગરવાસીઓને છુટકારો મળ્યો છે.
પરંતુ માવઠાથી ખેડુતોને આર્થિક માર સહન કરવાની સ્થિતિ ઉભી થવા પામી છે. માવઠાથી કેરીના મોગરા ખરી પડવાથી કેરીના પાકમાં ઉત્પાદન ઘટશે. વાવાઝોડા સાથે વરસાદથી ખેતરમાં તૈયાર ઉભો ઘઉંનો પાક પલળી જવાથી કાળો પડી જવાથી યોગ્ય ભાવો મળશે નહી તેમ ખેડુતોએ જણાવ્યું છે.
વાવાઝોડા સાથે વરસાદથી ચીકુંના મોગરા ખરી પડવાથી ચીકુંના ઉત્પાદન ઘટી જશે. ઉપરાંત કપાસ, રાઇડાના પાકને પણ નુકશાન થવાની શક્યતા ખેડુતોએ વ્યક્ત કરી છે. જોકે હવામાન વિભાગે આગામી તારીખ 21મી, સુધી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.