નરેન્દ્ર મોદીએ પોતાની માતા હીરાબાના શતાયુ પ્રવેશના દિવસે લખેલા બ્લોગમાં તેમના બાળપણના મિત્ર અબ્બાસનો ઉલ્લેખ કર્યો છે. અબ્બાસના પિતાનું અવસાન થયા બાદ તે નિરાધાર થઇ ગયા હતા અને અભ્યાસ છોડવો પડે તેવી સ્થિતિ હતી, તેવામાં મોદી પરિવારે તેમની જવાબદારી લીધી હતી તેવો ઉલ્લેખ બ્લોગમાં વડાપ્રધાને કર્યો છે. આ અબ્બાસ હાલ ઓસ્ટ્રેલિયમાં પોતાના નાના પુત્ર સાથે રહે છે, જો કે તેમનો મોટો પુત્ર આજે પણ મહેસાણા જિલ્લાના ખેરાળુ પાસેના કેસિમ્પા ગામમાં રહે છે.
મોદીના પિતાએ અબ્બાસની તમામ જવાબદારી ઉપાડી
નરેન્દ્ર મોદીના મોટાભાઈ સોમાભાઇ મોદી જણાવે છે કે, તે વખતે અબ્બાસ વડનગરની પાસેના રસૂલપુર ગામે રહેતા હતા. આ ગામ મુસ્લિમ બહુલ વસ્તી ધરાવે છે. નાનપણમાં જ પિતા ગુમાવી દેનારા અબ્બાસ મારા નાના ભાઇ પંકજ મોદીની ઉંમરના હતા અને તેમના મિત્ર હતા. પિતાનું અવસાન થતા અબ્બાસને અભ્યાસ છોડવો પડે તેવી સ્થિતિ થઇ હતી, ત્યારે મારા પિતા દામોદરદાસે તેમની જવાબદારી લઇ તેમને અમારા ઘરે લઇ આવ્યા અને તેમની રહેવાથી માંડીને અભ્યાસ સુધીની તમામ જવાબદારી નિભાવી હતી.
મારા પરિવારના માનવતાના મૂલ્યો વધુ પડતા હતાઃ સોમાભાઈ
અબ્બાસ ભણીગણીને ગુજરાત સરકારના નાગરિક પૂરવઠા વિભાગમાં વર્ગ-2 અધિકારી તરીકે જોડાયા હતા. હજુ ગયા વર્ષે જ તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા છે અને હાલ તેઓ તેમના નાના પુત્રની સાથે ઓસ્ટ્રેલિયમાં રહે છે. સોમાભાઇ જણાવે છે કે અમારા પરિવારની સ્થિતિ પણ તે વખતે આર્થિક રીતે સારી ન હતી, પરંતુ સંવેદનશીલતા અને માનવતાના મૂલ્યો અમારે માટે વધુ હતા તેથી અમે આર્થિક ચિંતા કર્યા વિના અબ્બાસને અમારી સાથે રાખ્યો હતો.
ઇદના તહેવારમાં માતા હીરાબા અબ્બાસ માટે પકવાન બનાવતાઃ મોદી
નરેન્દ્ર મોદીએ પણ પોતાના બ્લોગમાં જણાવ્યું છે કે અબ્બાસ માટે ઇદ જેવા તહેવારો વખતે મારાં માતા હીરાબા પકવાન બનાવીને જમાડતા અને અમે સહુ બાળપણમાં સાથે રમીને મોટાં થયાં. અબ્બાસના કેસિમ્પા ગામમાં રહેતા પુત્રનો સંપર્ક કરતા તેમાં સફળતા મળી ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.