રાજ્યના નાણા વિભાગ હસ્તકની ખાતાના વડાની કચેરીઓ ખાસ કરીને જીએસટી કમિશનર કચેરી અને હિસાબ અને તિજોરી નિયામકની કચેરીમાં જે અધિકારી સામે ભ્રષ્ટાચાર કે ગેરરીતિની ફરિયાદ થઇ હોય તો તેની તપાસ તે જ અધિકારીને સોંપવાના કિસ્સા બહાર આવતા નાણા વિભાગે તાકીદ કરવી પડી છે. અનેક કિસ્સામાં અધિકારી પોતાની સામેની જ ફરિયાદ અંગે તપાસ કરે અને તેનો રીપોર્ટ આપે તેવું જોવા મળ્યું હતું. તકેદારી આયોગની ટકોર બાદ નાણા વિભાગે પરિપત્ર કરીને સૂચનાઓ જારી કરવી પડી છે.
પરિપત્રમાં એવી પણ સૂચનાઓ અપાઇ છે કે અધિકારી- કર્મચારીઓ સામેની તપાસના 10-15 વર્ષ જૂનાકેસોમાં પણ આક્ષેપિત અધિકારી નિવૃત થવાના હોય તેના થોડા દિવસો અગાઉ વિભાગને તેમની સામેના કેસો રજૂ કરવામાં આવે છે. જેથી વર્ગ-2ના અધિકારીના નિવૃત્તિના 5 મહિના પહેલા અને વર્ગ-1ના અધિકારીની નિવૃત્તિના 6 મહિના પહેલા તપાસ અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. જે અધિકારીઓ સામે ફરિયાદ થઇ હોય તેમની સામેની તપાસ ભૂલથી પણ તે જ અધિકારીને સોંપવામાં ન આવે તેની કાળજી લેવાની રહેશે.
ખાતાના વડા દ્વારા જે નિર્ણય લેવાય તેની જાણ નાણા વિભાગને કરવાની રહેશે. નાણાકીય વસૂલાત અંગે અધિકારીની જવાબદારી બને છે કે નહીં તેમજ નાણાકીય વસૂલાત બાકી હોય તો તેને નુકસાન ગણી શકાય કે નહીં તેનો સ્પષ્ટ અભિપ્રાય પણ ખાતાના વડાએ આપવો પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.