વિશેષ પૂજા:ગુજરાતનું એકમાત્ર ગાંધીનગરનાં મહુડી મંદિરે કાળી ચૌદશનાં દિવસે વિશેષ પૂજા અર્ચના કરાય છે

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષમાં એક જ વાર કાળી ચૌદશે ઘંટાકર્ણ વીરની પ્રક્ષાલની વિધી કરાય છે

ગાંધીનગરના માણસા ખાતે આવેલા મહુડી ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે. જ્યાં કાળી ચૌદસના દિવસે જ વિશેષ પૂજા અર્ચના અને હવન કરવામાં આવે છે. ભગવાન ઘંટાકર્ણ મહાવીરની વરખ બદલવાની વિધિ કાળી ચૌદસના દિવસે કરવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે જ પૂજા થતી હોવાને કારણે વિશેષ મહત્વ આપવામાં આવે છે.

મહુડી જૈન મંદિર કે મહુડી જૈન તીર્થ અથવા મહુડી દેરાસર, ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં મહુડી શહેરમાં આવેલું એક મંદિર છે. તે જૈનો અને અન્ય સમુદાયોનું તીર્થસ્થાન છે. જેઓ જૈન દેવતા ઘંટકર્ણ મહાવીર અને પદ્મપ્રભુ જૈન મંદિરમાં દર્શન કરે છે . તે ઐતિહાસિક રીતે મધુપુરી તરીકે જાણીતું હતું.

મહુડી જૈન મંદિરની સ્થાપના જૈન સાધુ બુદ્ધિસાગરસૂરી દ્વારા ઇસવીસન 1917માં કરવામાં આવી હતી. ત્યાં બ્રાહ્મી લિપિમાં એક શિલાલેખ છે. ઇસવીસન 1916માં વાડીલાલ કાલિદાસ વોરા દ્વારા દાન કરવામાં આવેલી જમીન પર પાયો નંખાયો હતો. વોરાની સાથે પૂનમચંદ લલ્લુભાઇ શાહ, કંકકુચંદ નરસીદાસ મહેતા અને હિંમતલાલ હકમચંદ મહેતા મંદિરના સંચાલન માટે સ્થાપિત ટ્રસ્ટના ટ્રસ્ટી બન્યા. આ મંદિરના મૂળનાયક પદ્મપ્રભની 22 ઇંચની આરસની મૂર્તિ છે. રક્ષક દેવતા, ઘંટાકર્ણ મહાવીરને સમર્પિત એક અલગ મંદિર છે. ગુરુ મંદિર, કે જે બુદ્ધિસાગરસૂરિને સમર્પિત છે, તે પછીથી સ્થાપિત થયું.

કાળી ચૌદસના દિવસે ઘંટાકર્ણ મહાવીર મહુડી મંદિરનું વિશેષ મહત્વ હોય છે. જૈન સમુદાયના લોકો કાળી ચૌદસના દિવસે મોટી સંખ્યામાં દર્શન અને પૂજા અર્ચન માટે અહીં આવે છે. જોકે કોરાનાના સમયગાળાને કારણે ગાઈડલાઈનના આધારે પૂજા અર્ચના કરવામાં આવનાર છે. જેથી વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા છે. આજના દિવસે 12:39 વાગ્યે હવન પણ કરવામાં આવે છે. મહુડીના મંદિરે 108 વાર ઘંટ વગાડવામાં આવે છે. દરેક ઘંટના નાદ સાથે હવનમાં આહુતિ આપવામાં આવે છે. આહુતીના સમયે મંદિર પરીસરમાં હાજર ભક્તો દરેક આવતી સમયે દોરી પર એક ગાંઠ બાંધે છે.

આ અંગે મંદિરના ટ્રસ્ટી નિલેશ મહેતાએ જણાવ્યું હતું કે, વર્ષમાં એક જ વાર કાળી ચૌદશે ઘંટાકર્ણ વીરની પ્રક્ષાલની વિધી કરાય છે. જેમાં વીરના જમણા અંગુઠે કેસર પૂજા કરવામાં આવે છે. બપોરે 12.39 કલાકે મોટી પૂજાવિધી થાય છે. આ દિવસ શ્રદ્ધાળુઓ માટે ખાસ હોય છે. આ દિવસે શ્રધ્ધાળુઓ પગના અંગુઠાથી માથા સુધીની લંબાઇ ધરાવતી નાડાછડી અથવા લાલ રંગની કંદોરી (દોરી)ની 108 ગાંઠો વાળે છે. પહેલો ડંકો વાગે જૈન-જૈનેત્તર ભાવિકો દ્વારા કંદોરીની 1 કલાકે 1 ગાંઠ વાળવામાં આવે છે.

સર્વ મનોકામના પૂરી કરતો 108 ગાંઠોનો દોરો અતિ પવિત્ર ગણવામાં આવે છે. વીરના સંગે સમગ્ર વાતાવરણ ભકિતના રંગથી રંગાઇ જાય છે. આ પૂજા વિધી સમયે એકદમ નીરવ શાંતિ પ્રવર્તે છે. આ દિવસે મંદિરમાં સુખડી બનાવવાનું એક ખાસ મહત્વ હોય છે. મહુડીની સુખડી પ્રખ્યાત છે, એટલુ જ નહિ, આ મંદિરની સુખડી બીજે ક્યાંય બહાર લઈ જઈ શકાતી નથી તેવી માન્યતા છે.