ગુજરાત સરકારે યોજનાઓ ઘણી મૂકી છે પણ તેનો લાભ લાભાર્થીઓ સુધી સંપૂર્ણ પહોંચતો નથી. જો લાભ હેઠળ કોઈ ચીજવસ્તુ પહોંચે છે તો તેનું સ્વરૂપ એવું હોય છે કે,લાભાર્થીને તે મેળવીને એવું થાય છે કે,આના કરતા સરકાર આ આપે તે સારું. આ સ્થિતિમાં રાજ્ય સરકાર લાભાર્થીઓ પાછળ વપરાતી રકમનો પૂરતો લાભ લાભાર્થીઓને મળે એ માટે યોજનાઓનું સ્વરૂપ બદલી રહી છે.
રાજ્ય સરકાર દર વર્ષે ધોરણ 9માં અભ્યાસ કરતી એસટી વિદ્યાર્થિનીઓને સાઈકલ આપે છે. જોકે, આ સાઈકલ નબળી ગુણવત્તાની આવતી હોવાની ફરિયાદ લાભાર્થી વિદ્યાર્થિનીઓ કરી રહી છે. તેથી સરકારે આ ભ્રષ્ટાચારની સાઈકલને તોડવા માટે સાઈકલની કિંમત જ સીધી તેમના ખાતામાં જમા (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) કરાવવાનું નક્કી કર્યું છે.
આ યોજનામાં વિદ્યાર્થિનીઓને સરકાર સાઈકલ ખરીદીને આપતી
રાજ્ય સરકારના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે, આ યોજના તૈયાર થઇ ગઇ છે. આદિજાતિ વિભાગના ટોચના અધિકારીઓએ તૈયાર કરીને વિભાગ સમક્ષ દરખાસ્ત પણ મુકી દીધી છે. વિભાગના અધિકારીઓ યોજના બાબતે સંમત પણ છે અને હવે માત્ર મુખ્યમંત્રીની મંજૂરી લેવાની બાકી છે. આ યોજનામાં ગયા વર્ષ સુધી આદિજાતિ વિદ્યાર્થિનીઓને સરકાર સાઈકલ ખરીદીને આપતી હતી. હવે તેના બદલે સરકાર સાઈકલ જેટલા મૂલ્યની રકમ જ વિદ્યાર્થિનીઓના ખાતામાં જમા કરાવશે.
42 હજાર સાઈકલ આપવા 40 કરોડની જોગવાઈ
અત્યાર સુધી રાજ્ય સરકાર સાઈકલ યોજના હેઠળ સાઈકલ ખરીદીને જ દરેક વિદ્યાર્થિનીઓને આપતી હતી. આ યોજનામાં તકલાદી સાઈકલ મળતી હોવાની લાભાર્થીઓની ફરિયાદ હતી. આ ઉપરાંત સરકાર સાઈકલ એક સાથે જથ્થાબંધ ખરીદતી. બાદમાં જે સાઈકલો પડી રહેતી હતી, તે ભંગાર થઈ જતી. તેથી સરકારને નાણાકીય નુકસાન પણ થતું. હવે વિદ્યાર્થિનીઓએ સાઈકલ ખરીદીને તેનું જીએસટી સાથેનું બિલ સરકારમાં જમા કરાવવાનું રહેશે. એટલે વિદ્યાર્થિનીઓના ખાતામાં સાઈકલના બિલ જેટલી રકમ જમા થઇ જશે. આ વખતે એક સાઇકલની કિંમત રૂ. 4616 રખાઈ છે. આ માટે બજેટમાં પણ 42 હજાર વિદ્યાર્થિનીઓ માટે રૂ. 40 કરોડની જોગવાઈ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.