રાજ્ય સરકાર દ્વારા કોરોનાકાળ દરમિયાન રજાના દિવસે કામગીરી કરવા બદલ આરોગ્ય કર્મચારીઓને કોરોના વોરિયર જાહેર કરીને પગાર ચૂકવવાનું નક્કી કર્યુ હતું. આ બાબતે કરાયેલા ઠરાવમાં નેશનલ હેલ્થ મિશન હેઠળના ફિક્સ પગારના કર્મચારીઓ અને આઉટ સોર્સિંગના વર્ગ-3 અને વર્ગ-4નો સમાવેશ કર્યો નથી. પરિણામે આ કર્મચારીઓને 130 દિવસનો પગાર મળ્યો ન હોવાથી આ બાકી પગાર ચૂકવવાની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાંં આવી છે. જો પગાર ન ચૂકવાય તો કોરોનાની કામગીરીનો બહિષ્કાર કરવાની કર્મચારીઓએ ચીમકી આપી છે.
રાજ્યના આરોગ્ય વિભાગે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરને કોરોનાકાળ દરમિયાન જાહેર રજા અને રવિવારે કરાયેલી નોકરીનો પગાર ચૂકવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઠરાવમાં ફિક્સ પગાર અને આઉટ સોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓને રજા પગારનો લાભ આપવામાંથી બાકાત રાખવામાં આવતા આઉટ સોર્સિંગના કર્મચારીઓમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. હજુ સુધી તેમને પગાર બાબતે કોઇ પ્રત્યૂતર ન મળતા છેવટે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી પગાર ચૂકવવા માગ સાથે હડતાળ કરવાની ચીમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.