ધોરણ-10માં સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં નાપાસ વિદ્યાર્થી જો પૂરક પરીક્ષા આપવા લાયક હોય તેવા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતમાં પરીક્ષા આપી શકશે. જેના માટે વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા માટે ઓનલાઇન આવેદનપત્ર ભરતી વખતે સ્ટાન્ડર્ડ ગણિતને બદલે બેઝિક ગણિત વિષય પસંદ કરીને આવેદનપત્ર ઓનલાઇન જમા કરાવવાનું રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ના પરીણામો પ્રસિદ્ધ કરી દીધા છે. ત્યારબાદ હવે ધોરણ-10 અને ધોરણ-12 સાયન્સમાં બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા આગામી જુલાઇ-2022 માસમાં લેવાની કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને શિક્ષણ બોર્ડે નિર્ણય લીધો છે.
જેમાં સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ વિદ્યાર્થી પૂરક પરીક્ષામાં બેઝિક ગણિતમાં પરીક્ષા આપી શકશે. તેના માટે શિક્ષણ બોર્ડના પૂરક પરીક્ષા માટે નિયત કરેલા નિયમોનું પાલન કરવામાં આવશે. જેમ કે સ્ટાન્ડર્ડ ગણિત સાથે બે જ વિષયમાં નાપાસ હોય અને પૂરક પરીક્ષા આપવા લાયક હોય તેવા વિદ્યાર્થીઓને જ આનો લાભ આપવામાં આવશે. જોકે જે વિદ્યાર્થી માત્ર સ્ટાન્ડર્ડ ગણિતમાં જ નાપાસ થયો હોય તેને પણ પૂરક પરીક્ષામાં બેઝિક ગણિતમાં પરીક્ષા આપવાની તક મળશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
એ અને એબી ગૃપમાં પ્રવેશ માટે પરીક્ષા આપી શકાશે
ધોરણ-10માં બેઝિક ગણિતમાં પાસ થયા હોય અને ધોરણ-11 સાયન્સમાં એ-ગૃપ કે એબી ગૃપમાં પ્રવેશ લેવા ઇચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ પણ બેઝિક ગણિતની પૂરક પરીક્ષા આપી શકશે. તેના માટે શિક્ષણ બોર્ડે પૃથ્થક ઉમેદવાર તરીકે પૂરક પરીક્ષા આપવાની વ્યવસ્થા શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવી હોવાનું શિક્ષણ બોર્ડના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.