રાજ્ય સરકાર દ્વારા મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ વિદ્યાર્થીઓને પોષણયુકત આહાર મળે તેટલા માટે શાળાઓમાં ભોજન આપવામાં આવે છે. આ ભોજનમાં કઠોળ પણ આપવામાં આવે છે, પણ કઠોળની છેલ્લા બે મહિનાથી તંગી હોવાથી વિદ્યાર્થીઓને કઠોળ મળી રહ્યું નથી. છેલ્લા બે મહિનાથી તુવેરદાળ કે ચણા પૂરા પાડવામાં આવ્યા ન હોવાથી ખાલી વઘારેલો ભાત બાળકોને આપવામાં આવે છે. આ બાબતે યોજનાના સંચાલકોએ અવારનવાર શિક્ષણ વિભાગ અને શિક્ષણ વિભાગ હેઠળની મધ્યાહ્ન ભોજન યોજનાના અધિકારીઓને રજૂઆત કરી પણ કોઇ પરિણામ મળ્યું નથી. પરિણામે પોષણયુક્ત આહાર આપવાનાે દાવો જ પોકળ સાબિત થઇ રહ્યો હોવાનું વાલીઓનું કહેવું છે.
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને અપાતા ભોજનનું અલગ અલગ મેનુ હોય છે. મધ્યાહ્ન ભોજન સંચાલક આ પ્રમાણે બાળકોને ભોજન આપતા હોય છે. આ ભોજન વ્યવસ્થામાં છેલ્લા બે મહિનાથી તુવેરની દાળ અને ચણા મધ્યાહ્ન ભોજનના સંચાલકોને પૂરા પાડવામાં આવ્યા નથી. ગુજરાત સરકાર બાળકોમાંથી કુપોષણને દૂર થયું હોવાનો દાવો કરે છે. પરંતુ તેમની આ સિસ્ટમ તેમના દાવાને છતો કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.