જિલ્લાની ધોરણ-1થી 8ની પ્રાથમિક શાળાઓમાં જ 474 શિક્ષકોની ઘટની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર પડી રહી છે. જ્યારે બીજી તરફ છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં સરકારી 6 પ્રાથમિક શાળાઓને મંજુરીની સામે ખાનગી 13 પ્રાથમિક શાળાઓને મંજુરી આપતા સરકારી શાળા બંધ થવાની શક્યતા રહેલી છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સુધારણા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. પરંતુ દેશના ભાવી એવા બાળકોને પ્રાથમિક શિક્ષણ યોગ્ય રીતે મળી શકે તે માટે સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે છે.
જોકે છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી જ કરવામાં નહી આવતા નિવૃત્ત થયેલા શિક્ષકોના કારણે ઘટનો આંકડો વધી જવા પામ્યો છે. આથી શિક્ષકોની ખાલી જગ્યાએ પ્રવાસી શિક્ષકોની ભરતી કરીને વિદ્યાસહાયક લાયકાત ધરાવતા ઉમેદવારોને અન્યાય કરવામાં આવી રહ્યો તેમ શિક્ષકોની ઘટની સંખ્યા પરથી લાગી રહ્યું છે. વિધાનસભામાં ધારાસભ્યએ ગત તારીખ 31મી, ડિસેમ્બર-2022ની સ્થિતિએ ગાંધીનગર શહેર અને જિલ્લામાં કેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં કેટલા શિક્ષકોની ઘટના પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે ધોરણ-1થી 5માં શહેર અને ગ્રામ્યમાં 167 શિક્ષકોની ઘટ છે.
જ્યારે ધોરણ-6થી 8માં શહેર અને ગ્રામ્યમાં ભાષાના 66, ગણિત-વિજ્ઞાનના 55 અને સામાજિક વિજ્ઞાનના 86 શિક્ષકોની ઘટ છે. જ્યારે છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં 13 ખાનગી પ્રાથમિક શાળાઓને મંજુરી આપવામાં આવી છે. જ્યારે તેની સામે 6 સરકારી પ્રાથમિક શાળાઓને મંજુરી આપવામાં આવી છે. મંત્રીએ જણાવ્યું છે કે જિલ્લામાં સરકારી માધ્યમિક શાળાઓ 2, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ 189 અને ખાનગી શાળાઓ 130 છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.