ગુજરાત પર મહામારી અને હવે મહા વિનાશક વાવાઝોડું એમ બે મહા સંકટ આવ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિના સામના માટે સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓને લઈને મુખ્યમંત્રી રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે આ વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની પણ વાત કરી હતી.
રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો
ગુજરાતના કાંઠે આજે રાત્રે 8થી 11ની વચ્ચે પોરબંદર અને મહુવા વચ્ચે ટકરાવાની શક્યતાઓ છે, જેને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત અસર થનાર દરિયાકાંઠાના 17 જિલ્લાના 655 સ્થાળાંતર કરવા પાત્ર ગામોમાંથી એક લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે. આ સાથે વેરાવળ અને જાફરાબાદ બંદર પર 10 નંબર સૌથી ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યા છે.
આ પાંચ જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળશે
પંકજ કુમારે વાવાઝોડાની સ્થિતિ અને તેની સામેની સરકારની તૈયારી અંગે માહિતગાર કરતા જણાવ્યુ છેકે, વાવઝોડું વધારે પ્રભાવી થયું છે. 13 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. દીવથી 20 કિ.મી. પૂર્વમાં રાત્રે 8થી 11ની વચ્ચે આવશે. જ્યારે આવશે ત્યારે વાવાઝોડાની ઝડપ 155થી 165 કિ.મી.ની હશે. હાલ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. વલસાડથી સૌરાષ્ટ્ર સુધી ભારે વરસાદ પડી શકે છે. વાવાઝોડાની અસર ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાને વધારે થશે. આ ઉપરાંત દક્ષિણ અમદાવાદ, આણંદ અને મોરબીમાં પણ તેની અસર જોવા મળશે.
આરોગ્ય વિભાગની 388 અને મહેસૂલી અધિકારીઓની 319 ટીમો ખડેપગે
અસરગ્રસ્ત જિલ્લાઓમા ભારે પવન કે અન્ય?કારણોસર વીજ પૂરવઠો ખોરવાય તો તેને પૂર્વવત કરવા માટે 661 ટીમો ઉર્જા વિભાગ દ્વારા તૈનાત છે જે ચોવીસ કલાક કામગીરી કરી રહી છે. એ જ રીતે નાગરિકોને આરોગ્ય લક્ષી સારવાર પૂરી પાડવાના હેતુસર આ વિસ્તારો માટે 388 આરોગ્ય વિભાગની ટીમો તથા અન્ય સંકલનની કામગરી માટે 319 મહેસુલી અધિકારીઓની ટીમો ત્વરીત પગલાં ભરવા માટે ડીપ્લોય કરવામાં આવી છે.
કોવિડની સ્થિતિને પહોંચી વળવા 1383 પાવરબેક અપ
રાજ્યમાં કોવિડની સ્થિતિની પહોંચી વળવા માટે 1383 પાવરબેક અપ રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ વિસ્તારોમા નાગરિકોને આકસ્મિક સારવાર પૂરી પાડવા માટે 161 ICU એબ્યુલન્સ અને 576-108 એબ્યુલન્સ ઉપલબ્ધ કરીને સ્ટેન્ડ બાય કરી દેવાઈ છે. કોવિડની સારવાર લઈ રહેલા દર્દીઓની ઓક્સિજન જરૂરીયાતને પહોંચી વળવા માટે તથા ઓક્સિજનનું સરળતાથી વહન થાય તે માટે 35 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વાવાઝોડાના કારણે કોવિડના દર્દીઓને રેમડેસીવીર કે ઓક્સિજનનો પુરવઠો ન ખોરવાય તે માટે આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.