તાઉતે વાવાઝોડામાં થયેલા નુકસાનનો સર્વે ફરીથી કરવામા આવે તેવી માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યો કેબિનેટમા મુખ્યમંત્રીને રજૂઆત કરવા નીકળ્યા હતા.પોલીસે અટકાવતા ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા કરવા જઇ રહેલ આ કોંગી ધારાસભ્યોને ડીટેઇન કરી એસપી કચેરી લઇ ગયા હતાં.જ્યાં તેઓને બેસાડી રાખતા ધારાસભ્યો અને ડીવાયએસપી વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતુ.
રાજ્યમાં ત્રાટકેલ તાઉતે વાવાઝોડાથી સાૈરાષ્ટ્ર વિસ્તારમાં કરોડો રૂપિયાનુ નુકસાન થયુ હતુ. સરકાર દ્વારા સર્વે કરવામા આવ્યો છે. પરંતુ અનેક લોકો બાકાત રહી ગયા છે. જેને લઇને કોંગ્રેસના પ્રદેશ નેતા અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પુંજા વંશ, અંબરીશ ડેર સહિતના ધારાસભ્યો કેબિનેટ સમયે સીએમને રજૂઆત કરવા જઇ રહ્યા હતા. દરમિયાન પોલીસે અટકાવતા વિધાનસભા સંકુલમા આવેલી ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા કરવા જઇ રહ્યા હતા. તે સમયે પોલીસ અને નેતાઓ વચ્ચે ઘર્ષણ થયુ હતુ. કોંગ્રેસના નેતાઓને ડીટેઇન કરી એસપી કચેરી લઇ જવાયા હતા. પોલીસે 26 કોંગ્રેસી નેતાઓની અટકાયત કરી હતી. પોલીસ અને નેતાઓ વચ્ચે થયેલા ઘર્ષણમા વિપક્ષ નેતા ધાનાણીને માથાના ભાગે ઇજા થઇ હતી.
નેતાઓને એસપી કચેરી લઇ જઇ બેસાડી રાખવામા આવતા ધારાસભ્ય સાથે આવેલા કાર્યકરે પોલીસ વિરુદ્ધ ટીપ્પણી કરતા ડીવાયએસપી એમ.કે.રાણા સહિત પોલીસના કર્મચારીઓ ઉશ્કેરાઇ ગયા હતા. કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયુ હતુ. થોડા સમય માટે એસપી કચેરીમાં માહોલ ગરમાઇ ગયો હતો, બાદમાં એકાદ કલાક પછી તમામ નેતાઓને છોડી દેવામા આવ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.