ઉપરવાસમાં વરસાદ પડ્યા પછી ધરોઈ ડેમમાંથી છોડવામાં આવતું લાખો ક્યુસેક પાણી વેડફાઇ ના જાય તે માટે 800 કરોડના ખર્ચે સંત સરોવરથી માણસાનાં લાકરોડા વચ્ચે પાંચ દરવાજા વાળા પાંચ ડેમ બાંધવાની યોજના માત્ર કાગળ ઉપર રહી ગઈ છે. સૌ પ્રથમ ડેમ સાદરા ગામ પાસે બાંધવાનું નક્કી થયું હતું. જે હજી શરૂ નહીં થતાં આ આખી યોજના અભરાઈએ ચડી ગઈ છે.
રાજ્ય સરકાર દ્વારા ભૂગર્ભ જળમાં સ્તર ઊંચા લાવવા માટે જળ સંચયનાં કામો ઉપર ભાર મૂકવામાં આવતો રહેતો હોય છે. જોકે, ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોય છે. જે બાદ ગાંધીનગરના લાકરોડા, સંત સરોવર અને છેલ્લે વાસણા બેરેજમાંથી પણ લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતું હોય છે અને આ પાણી વેડફાતું અટકાવવા માટે સંત સરોવરથી માણસાનાં લાકરોડા બેરેજ વચ્ચે દરવાજા વાળા પાંચ ડેમ બાંધવાની 800 કરોડની તરતી મૂકવામાં આવેલ યોજના માત્ર કાગળ ઉપર જ રહી ગઈ છે.
ઉપરવાસમાં વરસાદ પડે તે પછી ધરોઈ ડેમ માંથી છોડવામાં આવતું લાખો ક્યુસેક પાણી ની આવક ગાંધીનગર લાકરોડા, સંત સરોવર અને વાસણા બેરેજમાં થયા પછી વધારાનું લાખો ક્યુસેક પાણી છોડી દેવામાં આવતું હોય છે. જે પાણીને વેડફાતુ અટકાવવા માટે દરવાજા વાળા પાંચ ડેમ બાંધવાનું આયોજન કાગળ પર રહી ગયું છે. વર્ષ 2002 માં દોઢસો કરોડના ખર્ચે સંત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
જે બાદ સંત સરોવરનાં કેચમેટ વિસ્તારમાં પાણી ભરાઈ રહેવાના કારણે તે જમીનમાં ઉતરવાથી આસપાસના 48 હજાર હેકટર વિસ્તારમાં પાણીના જળ સ્તર રિચાર્જ થયાનો લાભ થયો હતો. ગાંધીનગરમાં પહેલા 53 બોરથી શહેરને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો. જે પછી નર્મદા નું પાણી મળવા લાગ્યું છે. જેમાં સૌથી મહત્ત્વના 25 બોર સાબરમતી નદીના પટમાં આવેલા છે. તેના ફ્રેન્ચવેલમાં ભૂગર્ભ જળ 25 ફૂટ ઊંચા આવી ગયા છે.
સંત સરોવરમાં 25 ફૂટ સુધી પાણીનો સંગ્રહ કરાય તો ત્રણ વર્ષ સુધી શહેરમાં પાણી પહોંચતુ કરવા પર્યાપ્ત રહે એમ છે. તો ઉપરવાસમાં વરસાદ પડે ત્યારે ધરોઈ ડેમ માંથી છોડવામાં આવતું પાણી વેડફાઈ ના જાય તે માટે અંદાજે 800 કરોડના ખર્ચે પાંચ ડેમ બાંધવાનું નક્કી થયું હતું.
આ અંગે સૂત્રોનું કહેવું છે કે, ત્રણથી પાંચ વર્ષ સુધી સંત સરોવરમાં પાણી સંગ્રહ રહ્યા પછી સંત સરોવરની યોજના સાચા અર્થે ઉપયોગી સાબિત થશે. જેનો લાભ ગાંધીનગર શહેર તેમજ આસપાસના બોરીજ, ધોળાકૂવા, પાલજ, ઈંદ્રોડા અને શાહપુરના ગામોને મળશે. કેમ કે ડેમનો કેચગેટ એરિયા 12 કિલોમીટર લાંબો રહેશે. એજ રીતે જો બીજા ડેમ બાંધવામાં આવે તો તેનો લાભ પણ આસપાસના અન્ય વિસ્તારોને થાય એમ છે. સૌ પ્રથમ સાદરા ગામ પાસે ડેમ બાંધવાનું નક્કી થયું છે. પરંતુ તે કામ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે એ હજી કાગળ સુધી જ સીમિત છે. આમ પાંચ દરવાજા વાળા પાંચ ડેમ બાંધવાની યોજના હાલ તો અભરાઈએ ચડી હોવાનું લાગી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.