વિધાનસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતાના ભાગરૂપે રિક્ષાની પાછળ લાગેલા રાજકીય પક્ષોના પોસ્ટને દુર કરવાની જિલ્લા પોલીસને સુચના આપવામાં આવી છે. જેમાં પોલીસ દ્વારા રોડ ઉપર ફરતી રિક્ષાઓમાંથી મંજુરીવાળી સિવાયની રીક્ષાની પાછળ લગાવેલા રાજકીય પક્ષોના પોસ્ટર દૂર કરવાના રહેશે.
લોકશાહીના પર્વ સમાન વિધાનસભાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાની અમલવારીના ભાગરૂપે પોસ્ટર, હોડિંગ્સ તેમજ રિક્ષા કે અન્ય વાહનોની પાછળ લગાવેલા રાજકીય પક્ષોની જાહેરાત કરતા પોસ્ટરને દુર કરવામાં આવે છે. જોકે રાજકીય પક્ષો ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પહેલાં જ નગરમાં ફરતી રિક્ષાઓની પાછળના ભાગમા રાજકીય પક્ષોના ચિહ્ન અને નેતાઓના ફોટાવાળા સ્ટીકર લગાવી દીધા હતા.
સ્ટીકર લગાવીને રિક્ષાઓ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં રાજકીય પક્ષની જાહેરાત થયા કરે તેવા આશયથી સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. જોકે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવાતા આદર્શ આચારસંહિતાની અમલવારી છતાં રિક્ષાઓની પાછળ લગાવેલા પોસ્ટરને દુર કરવાની કામગીરી કરવામાં આવી નથી.
આથી જિલ્લા ચૂંટણી પંચ દ્વારા જિલ્લાઓમાં કેટલી રિક્ષાઓ ઉપર રાજકીય પક્ષોએ સ્ટીકર લગાવ્યા છે. તેમાંથી કેટલી રિક્ષાઓની પાછળથી સ્ટીકર દૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત કયા કયા રાજકીય પક્ષોએ મંજુરી લીધી સહિતની તપાસ કરવામાં આવી હતી. જેમાં જે રાજકીય પક્ષોએ મંજુરી લીધી નથી તેના સ્ટીકરને રિક્ષા પાછળથી દુર કરવાનો જિલ્લા પોલીસને આદેશ કર્યો છે.
જેના ભાગરૂપે રોડ ઉપર ફરથી રિક્ષાઓની તપાસ કરીને મંજુરી લીધી નથી તેવી રીક્ષાની પાછળ લાગેલા રાજકીય પક્ષના પોસ્ટરને દૂર કરવાના રહેશે. ઉપરાંત રોજે રોજ તેનો રિપોર્ટ રજુ કરવાનો આદેશમાં ઉલ્લેખ કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.